રાજકોટ: રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ખેડૂતોના ખાતામાં પાક વીમાના પૈસાઓ જમા થઈ રહ્યા છે. જ્યારે આ પાક વીમાના પૈસા જમા થતા હોય ત્યારે ખેડૂતોમાં પણ અસમંજસતા સર્જાય છે કે આ પાક વીમાના કયા વર્ષના પૈસા હાલ ખેડૂતોના ખાતામાં જમા થયા છે. જેને લઇને આ સમગ્ર મામલે કોંગ્રેસે કિસાન સેલના ચેરમેન પાલ આંબલીયા દ્વારા રાજકોટ ખાતે મીડિયા સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી ખેડૂતોના મને મેસેજ આવ્યા છે કે તેમના બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા પૈસા જમા કરવામાં આવ્યા છે પરંતુ આ પૈસા સેના છે તેની અમને ખબર નથી. ત્યારે સરકાર દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે.
બે ત્રણ દિવસથી ખેડૂતોના ફોન: કોંગ્રેસ નેતા પાલ આંબલીયાએ આ મામલે વધુમાં જણાવ્યું હતું કે, " છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના ખેડૂતો દ્વારા મને મેસેજ અને ફોન કરવામાં આવી રહ્યા છે કે તેમના બેંક ખાતામાં પાક વીમો જમા થઈ રહ્યો છે. જ્યારે આ ખેડૂતોને જે પણ મેસેજ મોકલવામાં આવ્યા છે તે મેસેજ ખેડૂતો મને મોકલે છે પરંતુ આ મેસેજને જોતા સ્પષ્ટતા થતી નથી કે હાલ જે પાક વીમો આપવામાં આવી રહ્યો છે તે પાક વીમો કયા વર્ષનો છે, તેમજ કયા પાકનો છે ખરીફ પાકનો છે કે અન્ય કોઈ પાકનો ત્યારે આ મામલે મે ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન તરીકે રાજ્યના મુખ્યપ્રધાન અને કૃષિ પ્રધાનને પત્ર લખીને માંગણી કરી છે કે હાલમાં ખેડૂતોને આપવામાં આવતો પાક વીમો કયા વર્ષનો છે કેટલા ટકા છે તેમજ તે કયા કયા તાલુકામાં છે અને કયા કયા ગામોમાં છે તમામ બાબતની સ્પષ્ટતા કરવામાં આવે, જેના કારણે ખેડૂતોને આ બાબતનો ખ્યાલ આવી શકે.