રાજકોટ :ઓલ ઈન્ડિયા એન્ટી ટેરેરીસ્ટ ફ્રન્ટના AIATF અધ્યક્ષ એમ.એમ. બીટાસિંગ આજે રાજકોટની મુલાકાતે હતા. ત્યારે તેમને આજે રાજકોટમાં એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે પીએમ મોદીની કાર્યશૈલીના વખાણ કર્યા હતા. જ્યારે તેમણે જણાવ્યું હતું કે, હાલ જે રીતે તિરંગાનું અપમાન થાય છે. ત્યારે મને ખૂબ દુઃખ થાય છે. વડાપ્રધાને G20 માં શું પાકિસ્તાન બોલાવ્યું હતું ? વડાપ્રધાન એમ કહે છે કે, અમે કોઈને છેડતા નથી. પરંતુ કોઈ અમને છેડે તેને અમે છોડતા નથી. આમ કહીને તેમણે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા.
ખાલિસ્તાન અંગે નિવેદન :બીટાસિંગે વધુમાં જણાવ્યું હતું કે, જો કેનેડા ખાલિસ્તાનને લઈને નહિ સુધરે તો અમે જોઈ લઈશું. આજે ચાઈના ભારત દેશથી થરથર કાંપે છે. ત્યારે ચાઈના પાકિસ્તાનને હાથો બનાવે છે. વન નેશન વન ઈલેક્શનને હું સમર્થન કરું છું. જ્યારે વર્તમાન સમયમાં એક બાદ એક ઈલેક્શન આવે છે. તેમાં મોટાભાગનો સમય અને શક્તિનો વ્યય થાય છે. ડ્રગ્સ મામલે તેમણે જણાવ્યું હતું કે, હાલ ગુજરાતમાં જે ડ્રગ્સ આવે છે તે પકડાઈ જાય છે. આ સારી વાત છે. ગુજરાતના લોકો ગુજરાત પોલીસ અને સુરક્ષા દળોને સહકાર આપે છે, ત્યારે પંજાબમાં આવું નથી. બીટાસિંગે ગુજરાત પોલીસના પણ વખાણ કર્યા હતા.