શહેરમાં સોમવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો ડેમ ઓવરફ્લો થતાં ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યાં છે. તેની સાથે જિલ્લા તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજકોટ-જૂનાગઢ સહિતના વિસ્તારોમાં પાણીના વધતાં પ્રવાહને ધ્યાનમાં રાખીને NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. જો કે, પોરબંદરમાં વરસાદનું પ્રમાણ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
પોરબંદરમાં ભારે વરસાદ, લોકસુરક્ષા માટે NDRF ટીમ કરાઈ તૈનાત - પોરબંદર લેટેસ્ટ ન્યૂઝ
પોરબંદરઃ જિલ્લામાં બે વર્ષ બાદ અનરાધાર વરસતા વરસાદને કારણે લોકોમાં ખુશી છવાઈ હતી, પરંતુ સોમવારે વાતાવરણમાં પલટો આવતાં લોકો ચિંતામાં મૂકાયાં છે. સોમવારથી વીજ કડાકા સાથે વરસાદ અવિરત વરસી રહ્યો છે. જેથી પોરબંદર પાણીમાં ગરકાવ થયું છે. ઠેર-ઠેર પાણી ભરાતાં જનજીવન ખોરવાયું છે. જેથી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે, હવામાન વિભાગે સંકટ ટળ્યું હોવાની આગાહી કરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

પોરબંદર જિલ્લા કલેક્ટર ડૉ. મોદીએ જણાવ્યું હતું કે, "જિલ્લાના ભાણવડ અને કલ્યાણપુરમાં પડેલા વરસાદને કારણે વરતુ ડેમ 2 ઓવરફ્લો થતા તેના તમામ દરવાજા ખોલવામાં આવ્યા હતા. પાણીમાં ઉત્તરોત્તર વધારો થયો હોવાથી પાણી પોરબંદર જિલ્લાના અમુક વિસ્તારો સુધી ઘૂસી ગયુ હતું. 10 ગામોમાં તેની અસર વર્તાઈ હતી. જેથી જિલ્લાના તમામ લોકેશન પર પહોંચી વળવા NDRFની ટીમ ડિઝાસ્ટર મેનેજમેન્ટની સાથે રવાના કરાઈ છે. પોરબંદર જિલ્લો હવે ભારે વરસાદની આગાહીમાંથી બાકાત છે. વાતાવરણમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન હવે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ ખસી રહ્યું છે. આથી પોરબંદરની કોઇ અસર થશે નહીં ત્યારે વહીવટી તંત્ર દ્વારા સ્ટાફ સંપૂર્ણપણે એલર્ટ કરાયો છે."
આમ, પોરબંદરમાં વરસાદનના આગમનથી કભી ખુશી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ અન્ય જિલ્લાઓમાં સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે.