પોરબંદર: અમદાવાદ શહેરના પીંક ઝોનમાં ફરજ બજાવવા પહોંચેલા પોરબંદરના લેડી ડૉકટર કાજલ મોઢવાડીયાએ કહ્યુ કે, કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે આરોગ્ય સર્વેમાં જોડાવાની તક મને મળી હતી. પાંચ વર્ષનો બાબો અને પરિવારથી 15 દિવસ માટે દૂર રહી આ પ્રકારની કામગીરી કરવી એ પડકાર જનક હોય છે. પણ એક ડૉકટર તરીકે દર્દીનો ઇલાજ અમારા માટે પ્રાથમિકતા હોય છે.
ગાંધિભૂમિની 4 આરોગ્ય ટીમે અમદાવાદનાં પીંક ઝોનમાં 1.50 લાખથી વધુ વ્યક્તિઓનો આરોગ્ય સર્વે કર્યો
ગાંધિભૂમિની ચાર આરોગ્યની ટીમે છેલ્લા 2 મહિનામાં અમદાવાદનાં પીંક ઝોનમાં 1.50 લાખથી વધુ વ્યક્તિઓનો આરોગ્ય સર્વે કર્યા છે. 20 ડૉકટર્સ અને 24 પેરામેડિકલ સ્ટાફે ફરજ બજાવી હતી.
પોરબંદરની ચાર મહિલા તબીબ, 6 ફિમેલ હેલ્થ વર્કસ તથા એક પુરૂષ તબીબ મળી કુલ 11 કોરોના વોરીયર્સની ટીમે અમદાવાદના પીંક ઝોન અસારવા વિસ્તારમાં 15 દિવસમાં 38 હજાર જેટલા લોકોનું આરોગ્ય સર્વે કર્યો છે. જેમાં ફક્ત એક જ પુરૂષ તબીબ હતા, જ્યારે અન્ય 4 મહિલા આયુષ ડોકટર્સ અને 6 ફિમેલ હેલ્થ વર્કર્સે લોકોનો આરોગ્ય સર્વે કર્યો હતો. આમ પોરબંદરના સરકારી ડૉકટર્સની સતત ચોથી ટીમે અમદાવાદમાં કોરોનાને લગતી મહત્વની કામગીરી કરી છે. આમ 20 ડોકટર્સ અને 24 પેરામેડિકલ સ્ટાફે છેલ્લા 2 મહિના કરતા પણ વધુ સમયમાં અંદાજે 1.50 લાખથી વધુ વ્યક્તિઓનું આરોગ્ય સર્વે કર્યો છે.
અન્ય આયુષ તબીબ ચેતનભાઇ શાસ્ત્રીએ કહ્યુ કે, કોરોનાનુ સંક્રમણ ન થાય તે માટે સરકાર તબીબી ટીમને PPE કીટ આપે છે. આ કીટથી અમને પુરતુ રક્ષણ મળ્યું હતું, આ ઉપરાંત સરકાર દ્વારા હોટલમાં રહેવાની તથા જમવા સહિત વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી.