પાટણઃ શહેરમાં જ્યારે પણ ભારે વરસાદ પડે ત્યારે આનંદ સરોવર ઓવરફ્લો થઈ તેના ધસમસતા પાણી આજુબાજુની સોસાયટીઓના મકાનોમાં ઘુસી જાય છે. જેને લઇ ભારે ખાનાખરાબી સર્જાય છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે આનંદ સરોવરનું પાણી બેક મારી પાછુ સરોવરમાં આવતા આપણી આજુબાજુની સોસાયટીઓમાં ઘૂસી જતા ચારથી પાંચ ફૂટ પાણી ભરાયા હતા.
આનંદ સરોવરના પાણીના નિકાલ માટે કેનાલ પરનો ગેટ તોડવાની કામગીરી હાથ ધરાઈ
પાટણ શહેરનું આનંદ સરોવર ઓવર ફ્લો થતા આજુ બાજુની સોસાયટીઓમાં ફરી વળતા પાણીનો કાયમી ઉકેલ લાવવા પાણીને અવરોધતા કેનાલ પરના વર્ષોજૂના ગેટને નગરપાલિકા તંત્ર દ્વારા તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આનંદ સરોવરમા ભરતા પાણીનો કાયમી નિકાલ લાવવા માટે સોમવારે પાટણના ધારાસભ્ય કીરીટ પટેલ અને નગરપાલિકાના ચીફ ઓફિસરે વત્રાસર કેનાલ પરનો વર્ષો જૂનો ગેટ જેસીબી મશીનની મદદથી તોડવાની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન પ્રાંત અધિકારી પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ચીફ ઓફિસર સાથે પાણી નિકાલ માટેની ચર્ચાઓ કરી હતી.
આનંદ સરોવરમાથી વત્રાસર કેનાલમાં ઠલવાતા પાણીને અવરોધતા પરના વર્ષો જૂના પુલને તોડવાથી કેનાલના તળિયાનું લેવલ અને આનંદ સરોવરનું લેવલ 10 ફૂટ જેટલું સરખું થશે, જેથી પાણી બેક મારવાની સમસ્યાનો મહદ અંશે ઉકેલ આવશે.