ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં વિરાસત સંગીત સમારોહની પૂરજોશમાં તૈયારીઓ

પાટણ : વિશ્વ ફલક પર ચમકેલી અને ભારતની વિરાસત સમાન વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલ રાણકી વાવમાં વિરાસત સંગીત સમારોહ યોજાશે. રાણીની વાવ વધુ પ્રસિદ્ધિ મેળવે તે માટે આ સમારોહનું આયોજન કરવામા આવ્યું છે. આ સમારોહ રાજયના મુખ્યપ્રધાન ખુલ્લો મુકનાર હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલમાં પૂર જોશમા તૈયારીઓ ચાલી રહી છે. તેમજ તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

By

Published : Dec 13, 2019, 10:41 PM IST

patan
પાટણ

અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતિએ 11મી સદીમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા વાવનું નિર્માણ કર્યું હતું. સરસ્વતી નદીમાં આવેલ પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી. 20મી સદીમાં આ વાવને મૂળ સ્વરુપમાં લાવવા પુરાતત્વ વિભાગ દ્રારા ઉત્ખનનની કામગીરી શરૂ કરતા ઘણાં વર્ષો બાદ આ વાવ તેનાં મૂળ સ્વરુપમાં આવી હતી.

પાટણમાં વિરાસત સંગીત સમારોહની પૂરજોશમાં તૈયારીઓ

શિલ્પકળાના બેનમુન સ્થાપત્ય સમી રાણકી વાવને વિશ્વ ધરોહરમાં સ્થાન પ્રાપ્ત થયું છે, ત્યારે તેના ગૌરવગાન માટે આગામી તા.16 અને 17 ડીસેમ્બરે રાણકી વાવ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. પાટણ ખાતે કનસડા દરવાજા નજીક શેઠ એમ.એન.હાઈસ્કુલ ખાતે યોજાનારા બે દિવસીય મહોત્સવમાં સુપ્રસિદ્ધ કલાકારો ઉપસ્થિત રહેશે. વિશ્વપ્રસિદ્ધ વર્લ્ડ હેરીટેજ રાણકી વાવની મહિમા ઉજાગર કરવા રાણીની વાવ ઉત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. આગામી 16 ડીસેમ્બરના રોજ પાટણ ખાતે રાણીની વાવ નજીક શેઠ એમ.એન.હાઈસ્કુલ ખાતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં મહોત્સવનો ઉદ્દઘાટન સમારોહ યોજવામાં આવશે.

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી આયોજીત સૂર અને સંગીતના આ દ્વીદિવસીય મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકારો ઉપસ્થિત રહેશે. આગામી તા.16 ડીસેમ્બરના રોજ સુપ્રસિદ્ધ ગાયક હરીહરન અને શાસ્ત્રીય સંગીતના સાધક સુશ્રી સાધના સરગમ તા.17 ડીસેમ્બરના રોજ જીગ્નેશ કવિરાજ તથા સુશ્રી ગીતાબેન રબારી તથા ગુજરાતી લોકકલાના જાણીતા પદ્મશ્રી કલાકાર ભીખુદાન ગઢવી તથા બિહારી હેમુ ગઢવી વિવિધ કાર્યક્રમો રજૂ કરશે. આ મહોત્સવને લઈ જીલ્લા વહીવટી તંત્ર દ્રારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. હાલમાં પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. બીજી તરફ કામગીરીને લઈ વિવિધ બેઠકો યોજાઈ રહી છે.

પાટણ ખાતે રાણીની વાવ ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ તથા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમજ કામગીરી બાબતે જરૂરી સુચનાઓ આપી હતી. જેમાં બેઠક વ્યવસ્થા, સ્ટેજ, લાઈટીગ ,પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ માટે સૂચનાઓ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details