- એક જ કંઠમાંથી અનેક અવાજમાં ઉઠાવવાની ક્ષમતા ધરાવતા હતા મહેશ કનોડિયા
- બન્ને ભાઈઓની જોડી રામ-લક્ષ્મણ તરીકે જાણીતી હતી
- લક્ષ્મણને વિરમ મૂકી રામે અલવિદા લીધી
- રામ લક્ષ્મણની જુગલબંધી તૂટી
- ઉત્તર ગુજરાતનું રતન હતા મહેશ કનોડિયા
પાટણઃ એકજ કંઠમાંથી અનેક અવાજ કાઢીને મહેશકુમાર એન્ડ પાર્ટી દ્વારા સંગીતની દુનિયામાં આગવું નામ અને ઓળખ ઉભી કરી ગુજરાતનું ગૌરવ વધારનારા મહેશકુમાર કનોડિયા અને તેમના લઘુબંધુ, મિલેનિયમ મેગાસ્ટાર, કરજણના પૂર્વ ધારાસભ્ય નરેશકુમાર કનોડિયા બન્ને ભાઈઓની જોડી રામ-લક્ષમણ તરીકે જાણીતી હતી. મહેશકુમાર કનોડિયા ઉંમરના કારણે લાંબા સમયથી અસ્વસ્થ હતા. જો કે, તેમનો સંગીતકાર અને સિંગર તરીકેનો માંહ્યલો કાયમ જીવંત રહ્યો હતો.
પાટણ રેલવેને મીટરગેજમાંથી બ્રોડગેજ બનાવવા માટે આપ્યું મહત્વનું યોગદાન
પાટણથી કાંસા-ભીલડી બ્રોડગેજ રેલવે લાઈનના ગેજ રૂપાંતર માટે તત્કાલીન સાંસદ તરીકે મહેશકુમાર કનોડિયાએ ખૂજ રસ લઈને આ કામગીરી પુરી કરાવી હતી અને તત્કાલીન રેલવે પ્રધાન નિતીશકુમારને પાટણ બોલાવીને તેમના હસ્તે આ યોજનાનો શિલાન્યાસ કરાવ્યો હતો.
પાટણ યુનિવર્સિટીએ ડૉક્ટરેટની માનદ પદવી આપી કર્યા હતા સન્માનિત
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા મહેશકુમાર કનોડિયાને ડૉક્ટરેટની માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કમનસીબે રામ લક્ષમણની જુગલ જોડીમાંથી લક્ષમણને વિરહ કરતા છોડીને આજે રામે અલવિદા લીધી છે. કનોડા ગામના વતની અને ઉત્તર ગુજરાતના રતન એવા મહેશકુમાર કનોડિયાના નિધનથી સમગ્ર ગીત સંગીત દુનિયાના કલાકાર આલમે તેમજ પાટણના તેમના વિશાળ ચાહકવર્ગ, સ્નેહી શુભેચ્છકો અને રાજકીય સામાજિક આગેવાનો, કાર્યકરોએ ઘેરા દુઃખની લાગણી અનુભવી છે.