ગુજરાત

gujarat

By

Published : Dec 22, 2019, 7:46 PM IST

ETV Bharat / state

પંચમહાલના યુવાને શોધી ખેડૂતોને પરવડે એવી ઓર્ગેનિક દવા

પંચમહાલ : જિલ્લાના કાલોલ તાલુકાના ઘોડા ગામના ખેડૂત પુત્ર અને એગ્રીકલ્ચરમાં અભ્યાસ કરેલા યુવકે ખેડૂતોને પરવડે એવી ઓર્ગેનિક દવા શોધી છે. પ્રાયોગિક ધોરણે બનાવેલી આ દવાના છંટકાવથી શાકભાજી સહિતના પાકના જીવાત પણ પડતી નથી. ઓર્ગેનિક દવાના ઉપયોગથી કોઈ માનવજીવનને આડઅસર થતી નથી. તેમજ બજારમાં મળતી અન્ય ઓર્ગેનિક દવા કરતા સસ્તી અને પાકના ઉત્પાદનમાં વધારો થાય છે. તેવો દાવો કરવામાં આવ્યો છે.

medicine
પંચમહાલ

પંચમહાલ ખેતીપ્રધાન જિલ્લો છે. અહીંનો મુખ્ય પાક મકાઈ અને ડાંગર છે. કાલોલ તાલુકાના ગ્રામીણ વિસ્તારના ખેડૂતો હવે શાકભાજીની ખેતી તરફ વળ્યા છે. અહીં રીંગણની ખેતી મોટાભાગે થાય છે. શાકભાજીની ખેતીમાં ખાતર, પાણી અને દવાઓનો છંટકાવ પણ કરવો પડતો હોય છે. તેમાં જીવાતોનો ભય વધારે રહે છે.

પંચમહાલના યુવાને શોધી ખેડૂતોને પરવડે એવી ઓર્ગેનિક દવા

ઘણીવાર તેના કારણે ઉત્પાદન પણ ઓછું મળે છે. બજારમાં મળતી કેટલીક દવાઓનો છંટકાવ કરવા છતાં તેનું પરિણામ જોવા મળતું નથી. આ બધી પરિસ્થિતિને જોતા કાલોલ તાલુકાના ઘોડા ગામના યુવાન નીલકુમાર પટેલ દ્રારા એક ઓર્ગેનિક દવાની શોધ થકી આ સમસ્યાનું નિવારણ શોધવાનો પ્રયાસ કરાયો છે. તેમાં તેમને સફળતા મળી છે. આ યુવકે સોઇલ એગ્રીકલ્ચર કેમિસ્ટનો અભ્યાસ કર્યો છે. તેમજ પી.એચ.ડી.ની પદવી પણ હાંસલ કરી છે.

છેલ્લા પાંચ વરસથી ખેડૂતોને શાકભાજીના પાકમાં જીવાતોથી મુક્તિની સાથે વધુ ઉત્પાદન કઇ રીતે મળવવું તે દિશામાં સંશોધન ચાલી રહ્યું હતું. તેમાં નીલ પટેલે કેટલાક રસાયણોના ઉપયોગથી એક ઓર્ગેનિક દવા બનાવી છે. તેનો પ્રયોગ રીંગણના છોડ ઉપર કરવામાં આવ્યો હતો. જેમાં સફળતા મળતા ગુવાર,કોબી, ફ્લાવર, દુધી ,ટામેટી અને વરિયાળીના છોડ ઉપર પણ તેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

નીલ પટેલનું કહેવું છે કે, આ ઓર્ગેનિક દવાના છંટકાવથી છોડનો પીરિયડ વધે છે. તેની ફળદ્રુપતામાં વધારો થાય છે. તેમજ તેના ફળની સાઈઝ, કલર અને વજનમાં સુધારો થાય છે. જીવાત જોવા મળતી નથી. આ દવાની પણ કોઈ આડ અસર જોવા મળતી નથી.

આ દવા પ્રાયોગિક ધોરણે હાલ ખેડૂતોને ઓછી કિંમતે આપે છે. માત્ર કાલોલ તાલુકાના નહીં, પરંતુ અન્ય જિલ્લાના ખેડૂતો પણ આ દવા લઈ જાય છે. ઘોડા ગામના ખેડૂતોનું કહેવું છે કે, આ દવાનો છંટકાવ કરવાથી અમારા શાકભાજીના પાકનું ઉત્પાદન વધ્યું છે. તે ઉપરાંત અમારી આવકમાં પણ 50 ટકાનો વધારો થયો છે.

આમ, આ દવા ખેડૂતો માટે આર્શિવાદ સમાન થઈ છે.

ABOUT THE AUTHOR

...view details