ગોધરા ખાતે દાહોદ રોડ પર આવેલી હોટલ સિલ્વર સ્પૂન ખાતે ભારત સરકારના ઇન્ફોર્મેશન બ્યૂરો અમદાવાદ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો સુધી સરકારી યોજનાઓની માહિતી પત્રકારો થકી પહોંચે તે માટે રૂરલ મીડિયા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે પદ્મશ્રી અને જાણીતા વરિષ્ઠ પત્રકાર વિષ્ણુ પંડ્યા અને અને કટાર લેખક અને પત્રકાર મણિલાલ પટેલ, ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના હેડ વિનોદ પાંડે તેમજ જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ,ઇન્ફોર્મેશન બ્યૂરો ગુજરાતના એડિશનલ ડાયરેકટર જનરલ ડો.ધીરજ કાકડીયા ઉપસ્થિત રહ્યા હતા.
વરિષ્ઠ પત્રકાર વિષ્ણુ પંડયાએ જર્નાલીઝમ અને એથીક્સ ઉપર ચર્ચા કરતા જણાવ્યું કે,પત્રકારત્વમાં પત્રકારની પાસે શબ્દનો સ્પિરિટ હોવો જરૂરી છે.શબ્દનું વજન પડવું જોઇએ.પત્રકારોએ ઇતિહાસને પણ જાણવો જોઇએ.ત્યારે વધતી જતી જવાબદારી વચ્ચે આપણું કામ સ્થિર કરવાનું છે.પત્રકારે વાંચવું જોઈએ,શબ્દોએ પત્રકારનો પ્રાણ છે.તેમને આઝાદીના લડતના વખતના પત્રકારત્વ તેમજ આંતરરાષ્ટ્રીય પત્રકારત્વના વિષયો પર પણ પ્રકાશ પાડ્યો હતો.