- શિક્ષકે ચોક પર પ્રતિકૃતિઓ બનાવી
- વિવિધ શિલ્પ સ્થાપત્ય તેમજ જાણીતા વ્યક્તિઓની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી
- સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી
પંચમહાલઃ શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ' આ ઉક્તિને ગોધરાના એક શિક્ષકે સાચી ઠેરવી છે, ગોધરા શહેરમા આવેલી એમ એન્ડ એમ મહેતા હાઈસ્કૂલમાં ચિત્રકામ વિષયનું શિક્ષણ આપતા જયેશ પ્રજાપતિ નામના શિક્ષક તેમની વિશિષ્ટ કળાને લીધે વિખ્યાત બન્યા છે. જયેશ પ્રજાપતિ દ્વારા શાળાના વર્ગખંડમા બ્લેક બોર્ડ પર લખવા માટે વપરાતા ચોકને માત્ર બોર્ડ પર લખવા પૂરતા સીમિત ન રાખી તેના પર પોતાની કળા કંડારી છે.
2004થી ચોક પર સુક્ષ્મ કોતરકામ કરી વિવિધ પ્રતિકૃતિઓ તૈયાર કરી
શિક્ષકે જણાવ્યું હતું કે, થોડાક વર્ષો અગાઉ તેઓએ નવરાશની પળમાં ચોક પર નખ દ્વારા કોતરકામ કરતા પિરામિડ જેવો આકાર પામ્યો હતો, તો તેના પર ચોક્કસ વસ્તુ વડે કોતરણીકામ કરીએ તો તેને વધુ સુંદર આકાર આપી શકાય, આવી પ્રેરણા લઇને તેઓએ ચોક પર પોતાની વિશિષ્ટ કળા કંડારવાનું શરૂ કર્યું હતું. તેમણે વર્ષ 2004થી ચોક પર ટાંકણી કે અન્ય નાના સાધનોની મદદથી તદ્દન સુક્ષ્મ કોતરકામ કરી વિવિધ પ્રતિકૃતિઓ તૈયાર કરી છે અને તેમાં વોટર કલર વડે કલર કરીને આબેહૂબ કલાકૃતિ તૈયાર કરી છે. જેમાં તેઓએ વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ એક નાનકડા ચોકમાં કંડારી છે. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ આબેહૂબ પ્રતિકૃતિ એક ચોકમાં તૈયાર કરી છે. આ ઉપરાંત વિવિધ ધર્મોના દેવી દેવતાઓની પ્રતિકૃતિ પણ ચોકમાં તૈયાર કરી છે, જેમાં ગણેશજી ,સાંઈ બાબા, રાધાકૃષ્ણ તેમજ ઈશુખ્રિસ્તનો સમાવેશ થાય છે.