નવસારી : ગુજરાતમાં આધુનિક સુવિધાયુક્ત ગ્રામ પંચાયત બનાવ્યા બાદ નવસારીનાં કબીલપોર ગામે ગુરુવારે મળેલી ગ્રામસભા વિવાદિત રહી હતી. કબીલપોરના સરપંચ છના જોગી, ઉપસરપંચ મુકેશ અગ્રવાલ, તલાટી કમ મંત્રી અને ગ્રામ પંચાયતના 4 સભ્યોની ઉપસ્થિતિમાં સમગ્ર ગ્રામસભા મળી હતી. સભામાં ગ્રામજનોએ ગામ વિકાસના પ્રશ્નો સહીત તેમની સમસ્યાઓ મુદ્દે રજૂઆતો કરી હતી. જેમાં સ્વચ્છતાની વાતો કરતા શાસકો સામે દરેક સોસાયટીમાં કચરા ઉઘરાવવામાં કર્મચારીઓ અનિયમિત હોવાની ફરિયાદો સાથે અન્ય મુદ્દે પણ ગ્રામજનોએ પસ્તાળ પાડી હતી. જેમાં ગત ત્રણ ગ્રામસભાઓમાં રજૂઆતો હોવા છતાં પણ કર્મચારીઓ સમયસર કચરો લેવા ન આવતા હોવાની રજૂઆતો બાદ પણ પંચાયતે આળસ ન ખંખેરતા લોકોએ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. જયારે કબીલપોર ગામની આકારણી રીન્યુ માટેની કાર્યવાહી કરવાની રજૂઆત પણ થઇ હતી.
સભામાં ગામના રસ્તાઓ પર દુકાનદારો દ્વારા કરાતા દબાણોને હટાવવા મુદ્દે સરપંચ છના જોગી અને ઉપસરપંચ મુકેશ અગ્રવાલ વચ્ચે તુ... તુ... મેં... મેં.. થઈ હતી. ખાસ કરીને કબીલપોર બજારમાં કેટલાક વેપારીઓ દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણને અટકાવવા બાબતે ઉપસરપંચે બળાપો ઠાલવ્યો હતો. જેમાં સરપંચે જોગીએ બધા સાથે મળીને દબાણો દુર કરાવીએ અને બધાનો સાથ સહકાર જોઈએનો રાગ આલાપતા જ બંને વચ્ચે વિવાદ વકર્યો હતો. જેને પગલે સરપંચ અને ઉપસરપંચે એક બીજા ઉપર આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કર્યા હતા. ગામના મુખ્ય બે શાસકો જ દબાણ મુદ્દે આખડતા હોવાની વાતે ગામનાં અગ્રણી ઓમપ્રકાશ અગ્રવાલ અકળાયા હતા. આ સાથે જ આક્રોષિત સ્વરમાં બંનેને ઠપકો આપતા તમારાથી કોઈ કામ ન થતું હોય તો રાજીનામું આપી દેવાની વાત કરતા જ સભામાં સન્નાટો છવાઈ ગયો હતો.
નવસારીના કબીલપોર ગામે દબાણ મુદ્દે સરપંચ અને ઉપસરપંચ વચ્ચે તુ... તુ... મેં... મેં.. - સરપંચ
નવસારીના કબીલપોર ગામની ગુરુવારે મળેલી ગ્રામસભામાં ગામના દુકાનદારો દ્વારા કરાયેલા દબાણ મુદ્દે ગ્રામજનો સહીત અગ્રણીઓએ પસ્તાળ પાડી હતી. જેમાં અગ્રણીએ સરપંચ અને ઉપસરપંચને આકરુ સંભળાવી કામ ન થતું હોય તો રાજીનામું આપી દેવાની વાત કરતા સભામાં સન્નાટો છવાઈ ગયો હતો. ઉલ્લેખનિય છે કે, કબીલપોરની આજની ગ્રામસભામાં મામલતદાર કે અન્ય અધિકારી સહીત પંચાયતના ૪ સભ્યોની ગેરહાજરી હોવા છતાં પણ સભાને વગર કોરમે પૂર્ણ કરી હતી.
કબીલપોર ગામની ગુરુવારની ગ્રામસભા કોરમ વગર જ આટોપવા સાથે જ દબાણ મુદ્દે સરપંચ અને ઉપસરપંચ વચ્ચે વકરેલા વિવાદને પગલે ગામ અગ્રણીએ બંનેને રાજીનામાં આપવાની વાત સામે સરપંચ છના જોગીએ પણ બળાપો કાઢ્યો હતો. ઉલ્લેખનીય છે કે છના જોગીએ કબીલપોર ગામમાં એકધારી ૨૫ વર્ષો સુધી સત્તા ભોગવી હતી. જેને ભાજપે પછડાટ આપ્યા બાદ ગત ચૂંટણીમાં જોગી ભાજપાના ખોળે બેઠા હતા. પંચાયતની આ ટર્મમાં ઉપસરપંચ મુકેશ અગ્રવાલની કામગીરી સામે ખુદ પંચાયત સહીત ગ્રામજનોમાં રોષ છે. જેને લઈને પણ વિવાદ રહ્યો છે, ત્યારે આજની સભામાં સરપંચ જોગીએ પોતે ૩૦ વર્ષથી સરપંચ પદે હોય બધું આવડતુ હોવાની અને શાસન કેમ કરવું તેની પણ જાણ હોવાની વાત કરી પંચાયતમાં ચાલતા આંતર વિખવાદને સપાટીએ મુક્યો હતો. જોકે કબીલપોરની ગ્રામસભા વિવાદમાં જ સંપન્ન થઈ હતી.