- 'મોદીજીને સથવારો, ગણદેવીનું અહિત કરનારાઓને આપો જાકારો'ના લાગ્યા પોસ્ટરો
- ગણદેવીમાં 4 સ્થળોએ ભાજપથી નારાજ લોકોએ પોસ્ટરો દ્વારા ઠાલવ્યો રોષ
- પોસ્ટરોની જાણ થતા ભાજપ અગ્રણીઓએ તાત્કાલિક હટાવડાવ્યા
નવસારી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યાં છે, ત્યારે ચૂંટણીને લઇને રાજકારણીઓની સાથે સાથે તેમના વિરોધીઓ પણ એક્ટિવ થઈ ગયા છે. ગણદેવીમાં આજે નવા ફાયર સ્ટેશનનું લોકાર્પણ હતું, પરંતુ તે પહેલા જ શહેરમાં 4 અલગ-અલગ જગ્યાઓએ 'મોદીજીને સથવારો, ગણદેવીનું અહિત કરનારાઓને આપો જાકારો' લખેલા પોસ્ટરોએ ભાજપનાં કાર્યકર્તાઓને દોડતા કર્યા હતાં. જેમણે પોસ્ટરોને તાત્કાલિક ઉતરાવી દીધા હતા. પોસ્ટર મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખે તેને કોંગ્રેસનું કારસ્તાન ગણાવ્યું હતું.
ગણદેવી પાલિકાની ચૂંટણી ટાણે લાગેલા પોસ્ટરો, પાલિકાના કામો સામે સવાલ!
ગણદેવી નગર પાલિકાની ચૂંટણીના પડઘમ વાગતા જ ભાજપ અને કોંગ્રેસ બન્ને એક્ટિવ થયા છે. ગણદેવી પાલિકાની ચૂંટણીમાં વિપક્ષ પણ એટલો જ મહત્વનો રહે છે. જોકે, ગઈ ટર્મમાં ભાજપે સત્તાનું સુકાન સંભાળ્યુ હતુ, પરંતુ વિતેલા પાંચ વર્ષોમાં પાલિકાના સત્તાધીશો દ્વારા કરવામાં આવેલી કામગીરી ચર્ચાઓમાં રહી છે. ત્યારે ગુરૂવારે ગણદેવી પાલિકાના લાખોના ખર્ચે તૈયાર ફાયર સ્ટેશનના લોકાર્પણની પૂર્વ રાત્રીએ ગણદેવી નગરપાલિકા સામે, એસટી ડેપો પાસે, ટાંક ફળીયા જાહેર માર્ગ પર અને સરદાર પટેલ ચોક પાસે અજાણ્યા લોકોએ ગણદેવીનું અહિત કરનારાઓને જાકારો આપવાની વાત સાથે પોસ્ટરો લગાવ્યા હતા. પોસ્ટરોમાં "મોદીજીને છે આપણો સથવારો, પણ ગણદેવીનું અહિત કરનારાઓને આપીશું જાકારો, બસ હવે તો ગુણવત્તાવાળો જ વિકાસ" લખવામાં આવ્યું હતું. આ પોસ્ટરો ગુરૂવારે સવારે લોકોની નજરે ચડતા જ ચર્ચામાં આવ્યા હતા. પક્ષમાંથી જ કોઇકે પોતાનો અસંતોષ જાહેર કર્યો હોવા સાથે શહેર વિકાસના કામોની ગુણવત્તા સામે પણ પ્રશ્ન ઉઠાવ્યો હોવાની વાતો પણ વહેતી થઇ હતી. જોકે, પોસ્ટરોની જાણ ભાજપી આગેવાનોને થતા દોડતા થયા હતા અને પોસ્ટરોને ઉતરાવી લેવાયા હતા, પરંતુ એ પહેલાં જ પોસ્ટરોનાં ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ ચૂક્યાં હતા.