નવસારી: કહેવાય છે કે, જૂનું એ સોનું, આ જ વાત અભ્યાસના ક્ષેત્રમાં પણ લાગુ પડતી જોવા મળી છે. નવસારીમાં અનેક એવા વિદ્યાર્થીઓ નવા પાઠ્યપુસ્તક લેવાના બદલે પસ્તીમાંથી પુસ્તકો લઈને અભ્યાસ કરી રહ્યા છે. જેનાથી અભ્યાસ પણ થાય છે અને દરેકના ખિસ્સાને પણ પરવડે છે. બીજી તરફ વેપારીઓ પણ સારી કંડિશનમાં આવા અભ્યાસક્રમના જૂના પુસ્તક સાચવી રાખીને વિદ્યાર્થીઓને અડધી કિમતે પુસ્તક આપે છે.
ભાવમાં વધારો: શાળાઓ ખુલવાની સાથે જ નવા સત્રના પાઠ્યપુસ્તકો તેમજ નોટબુકોની ખરીદી શરૂ થતી હોય છે. પાઠ્યપુસ્તકોના ભાવમાં 10 થી 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જેથી ગરીબ સામાન્ય વર્ગના પરિવારોને નવા પુસ્તકોના પ્રિન્ટેડ ભાવ પોસાતા નથી. બાળકોને ભણાવવા માટેના મોંઘાદાટ પાઠ્યપુસ્તકોની ખરીદી કરવાનું ટાળે છે. તેઓ પસ્તી વેચતી દુકાનોમાંથી પાઠ્યપુસ્તકો શોધીને બાળકોને ભણાવવાનું યોગ્ય માને છે. નવસારીમાંથી ઘણા વિદ્યાર્થીઓએ આ રસ્તો અપનાવ્યો છે.
પસ્તીની દુકાને ભીડઃ બાળકના શિક્ષણ માટેના પાઠ્યપુસ્તકો પુસ્તકોના ભાવ સેંસેક્સની જેમ વધી રહ્યા છે. ત્યારે ગરીબ અને સામાન્ય પરિવારના વાલીઓ બાળકોને ભણાવવા દિવસ રાત મહેનત કરે છે. પણ દરેકના ખિસ્સાને નવા પુસ્તકોના ભાવ પોસાય એમ નથી. વધતા જતા પુસ્તકોના ભાવને લઈને વાલીઓ તેમના બાળકોને લઈને પસ્તી વેચતી દુકાનો પર જાય છે. જ્યાં જે તે વિષયના જુના પુસ્તકો શોધી શોધીને લઈ રહ્યા છે. ખાસ ફાયદો એ થાય છે કે, તે જૂના હોવાથી સરળતાથી પ્રાપ્ય થાય અને અડધી કિંમતે મળી જાય.
જયારે પસ્તીમાં પુસ્તકો વેચતા વેપારી જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, બાળકોની પરીક્ષા તેમજ અભ્યાસ પૂર્ણ થયા બાદ વાલીઓ પસ્તીના ભાવે 1 થી 12 ધોરણ સુધીના પાઠ્યપુસ્તકો અમને આપી જાય છે. જે અમે વ્યવસ્થિત સાચવીને રાખીએ છીએ. નવા સત્રમાં ગરીબ પરિવારો અમારી પાસે આવીને આ પુસ્તકો પોતાના બાળકો માટે લઈ જાય છે. જેના ભાવ પણ અમે ઘણા સામાન્ય લઈએ છીએ. જેથી કરીને બાળકો પોતાનો અભ્યાસ કરી શકે.---પ્રવીણભાઈ (પસ્તીના વ્યાપારી)