નવસારી: નીસર્ગ વાવાઝોડાની અસરને કારણે નવસારીમાં સમયસર વરસાદ શરૂ થયો હતો, પરંતુ બે-ચાર દિવસો વરસાદી માહોલ રહ્યા બાદ મેઘરાજા હાથતાળી આપી રહ્યા હતા. જેને કારણે ફરી તાપમાનમાં ગરમીના વધારા અને બફારા સાથે આકરા ઉનાળાનો અનુભવ થયો હતો. જયારે જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતોની વાવણીની ચિંતા વધી હતી. પરંતુ જુલાઈનાં પ્રારંભે જ મેઘરાજાએ નવસારી પર કૃપા દ્રષ્ટિ કરી હોય એમ વરસાદી માહોલ બન્યો છે. જેમાં ગત શનિવારે સાંજથી જિલ્લામાં ક્યાંક ધોધમાર અને ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
નવસારીમાં મેઘ મહેર: 24 કલાકમાં મેઘો મન મુકીને વરસતા સર્વત્ર પાણી-પાણી - વાંસદા
નવસારીમાં મહિના પછી મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જિલ્લાના 6 તાલુકામાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, તો દિવસ દરમિયાન વરસાદ રહેતા વાતારણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. જયારે વરસાદ શરૂ થતા જ નવસારી રેલ્વે ફાટક નજીક ભૂવો પડતા પાલિકા અધિકારીઓ દોડતા થયા હતા. બીજી તરફ વરસાદને કારણે ગોલવાડ ચોકી નજીકના જર્જર મકાનની દીવાલ ધરાશાયી થઇ હતી, જોકે સદ્દનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.
![નવસારીમાં મેઘ મહેર: 24 કલાકમાં મેઘો મન મુકીને વરસતા સર્વત્ર પાણી-પાણી નવસારીમાં મેઘ મહેર: 24 કલાકમાં મેઘો મન મુકીને વરસતા સર્વત્ર પાણી-પાણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7907494-thumbnail-3x2-nvs.jpg)
જેમાં શનિવારે રાત્રે નવસારીના વિજલપોર વિસ્તારમાં વિઠ્ઠલ મંદિર નજીક રસ્તા પર પાણી ભરાતા પૂર્વ વિજલપોર પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી હતી. બીજી તરફ રવિવારે વહેલી સવારથી જ જિલ્લામાં મેઘ મહેર રહેતા નવસારીમાં ગરમી અને ઉકળાટથી લોકોએ રાહત અનુભવી હતી. વરસાદને કારણે નવસારી રેલ્વે સ્ટેશન નજીક જલાલપોર ચોકીની સામે ભુવો પડતા નવસારી પાલિકાના અધિકારીઓ દોડતા થયા હતા અને ભુવાનું સમારકામ શરૂ કરાવ્યુ હતું.
જયારે શહેરના ગોલવાડ સ્થિત પોલીસ ચોકી નજીકની જર્જર મકાનની દીવાલ ધરાશાયી થઇ હતી, જોકે દીવાલ પડવાને કારણે સદ્દનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. નવસારી જિલ્લામાં રવિવારે સાંજે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં જલાલપોરમાં 4.75 ઇચ, જયારે નવસારી, ચીખલી અને ગણદેવીમાં 3.75 ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે ખેરગામમાં 1.75 ઇંચ અને વાંસદામાં 0.5 ઇચ વરસાદ નોંધાયો છે.
તાલુકામાં વરસાદ (મિલીમીટર)
- જલાલપોર 117
- નવસારી 90
- ચીખલી 90
- ગણદેવી 89
- ખેરગામ 41
- વાંસદા 13