નવસારી : ભારતમાં ખુલ્લા બોરવેલમાં બાળક પડી જવાની ઘટના સામાન્ય બની રહી છે. ખાસ કરીને બેદરકારીને કારણે ખુલ્લા રહેતા બોરવેલ માસુમ બાળકોની મોતનું કારણ બને છે, પણ લોકો બંધ પડેલા બોરવેલને ઢાંકવાની કરવાની તસ્દી લેતા નથી. આવી જ એક ઘટના ચીખલીના જોગવાડ ગામના બંધ પડેલા સરકારી બોરવેલમાં બની છે. 6 વર્ષીય બાળક રમતા રમતા પડી જતા દોડભાગ મચી હતી. ત્રણ જેસીબી અને ફાયર તેમજ સ્થાનિક જવાનોની મદદથી બાળકને અઢી કલાકે રેસ્ક્યુ કરી શકાયું હતું. દુર્ભાગ્યવશ સારવાર મળે એ પૂર્વે જ આ બાળક જિંદગીની જંગ હારી ગયો હતો.
નવસારીઃ સરકારી બોરવેલમાં પડી જતા 6 વર્ષના બાળકનું મોત, તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ - ચીખલી પોલીસ
નવસારી જિલ્લાના જોગવાડ ગામે સરકારી બંધ બોરવેલમાં 6 વર્ષનું બાળક પડી ગયું હતું. આ બાળકને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન આ બાળકનું મોત નીપજ્યું હતું.
![નવસારીઃ સરકારી બોરવેલમાં પડી જતા 6 વર્ષના બાળકનું મોત, તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ child died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7437616-960-7437616-1591031077701.jpg)
ચીખલી તાલુકાના જોગવાડ ગામે પઠાણ ફળિયાના અબ્દુલ અઝીઝ પઠાણનો 6 વર્ષીય દીકરો મહમદ અરસદ પઠાણ સોમવાર બપોરે રમતા રમતા નજીકમાં આવેલા ભગત ફળિયાના 30 વર્ષ જૂના અને બંધ પડેલા સરકારી બોરવેલ પાસે પહોંચ્યો હતો. જ્યાં રમતા રમતા અરસદ ખુલ્લા બોરમાં પડી ગયો હતો. આ બોરમાં બાળક 15થી 20 ફૂટ નીચે ફસાયો હતો. માસુમ અરસદની બુમો સાંભળી ઘટના સ્થળે પહોંચેલા પરિવારજનો સહિત સ્થાનિકોએ તંત્રને જાણ કરતા જેસીબી તેમજ ફાયરના જવાનો સાથે ચીખલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
3 જેસીબી મશીનો કામે લગાડી, બોરની આસપાસ અંદાજે 20 ફૂટનું ખોદાણ કરવામાં આવ્યુ હતુ. બોરમાં ફસાયેલા અરસદને બોરનો પાઈપ તોડીને બહાર કઢાયો હતો, પરંતુ બોરમાં ઓક્સિજન ન મળવાને કારણે માસુમ અરસદ બેહોશ થઈ ગયો હતો. જેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકના ટાંકલ સીએચસી ખાતે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન માસુમ અરસદને ડૉકટરે મૃત જાહેર કર્યો હતો. અરસદના મોતથી તેના પરિવારજનોએ આક્રંદ કરતા વાતાવરણ ગમગીન બન્યુ હતુ. સમગ્ર મુદ્દે ચીખલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.