નવસારી: જિલ્લામાં વધતા કોરોનાના સંક્રમણને અટકાવવા તંત્ર દ્વારા અનલોક હોવા છતાં સવારે 6થી 2 વાગ્યા સુધીનો સમય જાહેર કરી લોકડાઉન જેવી સ્થિતિ બનાવવામાં આવી છે. જેનો વિરોધ નોંધાવી સોમવારે નવસારી જિલ્લા હોટલ એસોસિએશનએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હોટલોને જાહેરનામાના સમયમાં છૂટછાટ આપવાની માંગણી સાથે અન્ય મુદ્દાઓના નિરાકરણની માંગણી ઉચ્ચારી હતી.
નવસારીમાં હોટલોને રાતે 9 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની માગ કરવામાં આવી - નવસારી હોટેલ એસોસિએશન
સોમવારે નવસારી જિલ્લા હોટલ એસોસિએશને જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હોટલોને જાહેરનામાના સમયમાં છૂટછાટ આપવાની માંગણી સાથે અન્ય મુદ્દાઓના નિરાકરણની માંગણી ઉચ્ચારી હતી.
ભારત સરકાર દ્વારા અર્થતંત્રની ગાડીને પાટે ચઢાવવા નિયમાનુસાર અનલોક અમલ કરવામાં આવ્યું છે. જેમાં અનલોક-2માં નવસારી જિલ્લામાં સુરત, મુંબઇ અને અન્ય શહેરોમાંથી આવનારાઓને કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેથી નવસારીમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે જિલ્લા કલેક્ટરે ગત 10 જુલાઈથી નવસારીમાં સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધી જ દુકાનો, ઓફિસો અને હોટલો ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે, જ્યારે મેડિકલ અને દૂધને છૂટ આપતું જાહેરનામું બહાર પાડ્યું હતું. જેને લઈને નવસારી જિલ્લાના શહેરો, ગામો અને હાઈ-વે પાર ચાલતી હોટલોના સંચાલકો દ્વારા સમય મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
સોમવારે નવસારી હોટલ એસોસિએશન દ્વારા અધિક જિલ્લા કલેક્ટર કમલેશ રાઠોડને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં લોકડાઉનમાં હોટલોમાં પાર્સલ સુવિધાઓ ચાલતી હતી, તો હવે કેમ બંધ ? એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ સાથે જ હાઈ-વેની હોટલો બંધ રહેતા પ્રવાસીઓને અગવડતા વેઠવી પડે છે. જેથી હોટલોને નિયમાનુસાર રાતે 9 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવાની માંગણી ઉચ્ચારી હતી. આ સાથે જ હોટલ, રેસ્ટોરન્ટનો મિલકત-વેરો માફ કરવા અને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી સહાયની માંગણી કરી છે.