- વિજલપોરના લક્ષ્મી નગર-2 માં બે જૂથ બાખડયા
- રંગ લગાવવા બાબતે બે જૂથ વચ્ચે ઉછળ્યા લાકડા
- જૂથ અથડામણમાં ત્રણ લોકોને ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયા
નવસારી: નવસારીના વિજલપોર વિસ્તારના લક્ષ્મી નગર-2 સોસાયટીમાં ગઈકાલે ધુળેટીના પર્વ પર યુવાનોના બે જૂથોમાં રંગ લગાવવા મુદ્દે વિવાદ મારામારી સુધી પહોંચ્યો હતો. જેમાં બંને જૂથો વચ્ચે લાકડા ઉછળતા ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિજલપોર પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
રંગોના પર્વના ઉલ્લાસમાં રંગ લગાવવાની વાતે જ પડયો ભંગ
વિજલપોરના લક્ષ્મી નગર-2માં ગઈકાલે ધુળેટીના પર્વ પર ઉત્તર ભારતીયો એકબીજા પર રંગ નાંખવાના ઉલ્લાસમાં હતા, પરંતુ અચાનક યુવાનોના બે જૂથોમાં રંગ લગાવવા મુદ્દે વિવાદ થયો હતો અને વાત મારામારી સુધી પહોંચી હતી. જેમાં લાકડા ઉછળતા બે યુવાનોના માથા ફૂટ્યા હતા. જ્યારે અન્ય એક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાને પગલે યુવાનોના પરિવારજનો પણ દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા.
આ પણ વાંચો:રાજકોટમાં કોરોના વચ્ચે લોકોએ પરિવાર સાથે કરી ધુળેટીની ઉજવણી