- ગુજરાતના રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાશે સમારોહ
- રાજ્યપાલના હસ્તે યુનિવર્સિટીના 690 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે
- ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના 37 વિદ્યાર્થીઓને આપવામાં આવશે ગોલ્ડ મેડલ
નવસારીઃ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીના કુલપતિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં આજે 16મો પદવીદાન સમારોહ યોજવામાં આવશે. કોરોનાને કારણે આ વર્ષે વર્ચ્યૂઅલી યોજવાનું આયોજન થયું છે. આ સાથે જ રાજ્યના કૃષિ પ્રધાન આર. સી. ફળદુ પણ કાર્યક્રમમાં હાજરી આપશે. પદવીદાન સમારોહમાં રાજ્યપાલ હેલિકોપ્ટરથી કૃષિ યુનિવર્સિટીના હેલિપેડ પર ઉતર્યા બાદ કૃષિ ભવન ખાતે આયોજિત કૃષિ ભવન પહોંચશે.
રાજ્યપાલના હસ્તે યુનિવર્સિટીના 690 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે શ્રેષ્ઠ પ્રોફેસરોને પણ સન્માનિત કરવામાં આવશે
યુનિવર્સિટીમાં વિભિન્ન અભ્યાસક્રમોના ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા 690 વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલી પદવી એનાયત કરશે. જ્યારે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા 37 વિદ્યાર્થીઓને રાજ્યપાલ દેવવ્રતના હસ્તે ગોલ્ડ અને સિલ્વર મેડલ તેમ જ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાશે. સાથે જ યુનિવર્સિટીના શ્રેષ્ઠ પ્રોફેસરોને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાશે.
પોલીસ અધિકારીઓ સાથે 412 જવાનોનો બંદોબસ્ત ખડકાયો
નવસારી કૃષિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજ્યપાલ ઉપસ્થિત રહેવાના હોવાથી જિલ્લા તંત્ર તેમ જ પોલીસ દ્વારા સોમવારે રિહર્સલ કર્યું હતું. રાજ્યપાલના કાર્યક્રમને લઈ જિલ્લા પોલીસ વડા સહિત 16 અધિકારીઓ અને પોલીસ જવાનો, હોમગાર્ડ-જીઆરડી જવાનો સાથે 412 જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.