ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેર તાલુકામાં ખાતરની ગુણીમાં વજન ઓછું આવતા ખેડૂતોમાં રોષ

મોરબી: રાજ્યમાં ભારે ચોમાસાએ ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન પહોંચાડ્યા બાદ આખરે ચોમાસાએ વિદાય લીધી છે અને હવે ખેડૂતો રવિપાકની સીઝન માટે તૈયારી કરવામાં લાગી ગયા છે. જોકે પરસેવો પાડીને ધાન ઉગાડતા ખેડૂતો સાથે સરકાર, તંત્ર અને કંપનીઓ મજાક કરવાનો કોઈ મોકો છોડતા ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ખેડૂતો રવિ સીઝન માટે જે કૃભકોના ખાતરની ખરીદી કરી રહ્યા છે તેની ૫૦ કિલોગ્રામની બેગમાં ૫ કિલો સુધી ઓછું વજન આવતું હોવાની ફરિયાદને પગલે ખેડૂતો સાથે થતી ધાંધલી અને કોભાંડનું રીયાલીટી ચેક કરવા વાંકાનેર તાલુકાના મેસરિયા ગામ પહોચી મંડળીના હોદેદારો અને ખેડૂતોનો સંપર્ક કરતા ખાતરની બેગમાં વજન ઓછું હોવાના અહેવાલો સાચા હોવાનો ઘટસ્ફોટ થયો હતો, ત્યારે જુઓ કે કેવી રીતે ખેડૂતોને ખાતરની બેગમાં ઓછું વજન આપીને લૂંટ ચલાવવામાં આવી રહી છે અને કેવી રીતે સમગ્ર કોભાંડનો પર્દાફાશ થયો તો આવો અને જુઓ આ અમારા અહેવાલમાં...

By

Published : Nov 24, 2019, 3:01 AM IST

વાંકાનેર તાલુકામાં ખાતરની ગુણીમાં વજન ઓછુ આવતા ખેડૂતોમાં રોષ

વાંકાનેર તાલુકાના મેસરિયા ગામની મેસરિયા જૂથ સહકારી મંડળીમાં તાલુકાના મેસરિયા, સમઢીયાળા અને રાતાવીરડા ગામનો સમાવેશ થાય છે અને ૪૧૫ ખેડૂતોએ અહી ૭.૫૬ કરોડનું પાકધિરાણ મેળવ્યું હોય તેમજ ખાતરની વાર્ષિક ખપત પણ ૧.૨૫ કરોડ થવા જાય છે, ત્યારે કૃભકોના ડીએપી ખાતરમાં ઓછા વજનની વ્યાપક ફરિયાદોને પગલે સહકારી મંડળીના ઉપપ્રમુખનો સંપર્ક કર્યો હતો, ત્યારે ચોકાવનારી માહિતી પ્રાપ્ત થઇ છે. જેમાં ખાતરની થેલીમાં ઓછા વજનનો મંડળી ઉપપ્રમુખ પણ એકરાર કરે છે. ખાતરની ૨૪૦ ગુણી ભરેલી ગાડી ખાલી કરતા સમયે મજુરોએ વજન ઓછો હોવાની શંકા વ્યક્ત કરી હતી. જેથી મંડળી દ્વારા એવી ૩૦ જેટલી ગુણીઓ અલગ કાઢી હતી અને વજન કરતા ૧૫ થેલીમાં ૫ કિલો જેટલો વજન ઓછો અને બાકી ગુણીમાં પણ ૫૦૦ ગ્રામથી લઈને ૫ કિલો જેટલો વજન ઓછો મળ્યો છે, તો આ મામલે કૃભકોના અધિકારીને જણાવતા તેને થેલી બદલી આપવાનું કહીને વાતને ટાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મંડળીના હોદેદારોએ ખેડૂતોના હિતમાં કાયદેસર પગલા ભરવાનું નક્કી કર્યું છે.

વાંકાનેર તાલુકામાં ખાતરની ગુણીમાં વજન ઓછુ આવતા ખેડૂતોમાં રોષ
મેસરિયા સહકારી મંડળીમાંથી ખેડૂતોએ ૧૨૦૦ રૂપિયાની કૃભકોનું ડીએપી ખાતર ખરીદી કર્યું છે. જેમાં ૫ કિલો વજન ઓછું નીકળ્યું છે અને ખેડૂતોને કૃભકો કંપની ટોપી પહેરાવતી હોવાનું ખેડૂત જણાવે છે. ૫૦ કિલોની બેગમાં ૫ કિલો ઓછું વજન એટલે કે ૧૨૦૦ રૂપિયાની બેગમાં ૧૨૦ રૂપિયાનું ખાતર ઓછું મળે છે. આમાં, ખેડૂતની આવક ક્યાંથી થાય, ખેડૂતના પરસેવાની કમાણી કંપની લૂંટી લે છે તે ગુસ્સા સાથે ખેડૂતે પણ સવાલ ઉઠાવ્યો છે કે દેશભરમાં કેટલું ગોલમાલ થતું હશે, જયારે સમગ્ર પ્રકરણ મામલે ફર્ટીલાઈઝર ઇન્સ્પેકટરે જણાવ્યું કે ખાતરની થેલીમાં વજન ૧૦૦ ગ્રામથી લઈને ૫ કિલો વજન ઓછું હોય તેવી માહિતી મળી છે, જેને પગલે કંપની દ્વારા કાયદા પ્રમાણે લખેલ વજન કરતા ઓછુ હોવાથી વેચાણ અટકાવી દીધુ છે અને દરેક બેગ પર નોટ ફોર સેલના લેબલ લગાડ્યા છે. તેમજ વજન ઓછા મામલે ચકાસણી કરાશે અને કંપનીને નોટીસ પાઠવી ખુલાસો મંગાશે જે રીપોર્ટ ખેતી નિયામકને મોકલી આગળ કાર્યવાહી કરાશે તેવુ જણાવ્યું છે.આમ, ચોમાસામાં ભારે વરસાદે ખેડૂતોને રડાવ્યા હતા, તો બાદમાં બચી ગયેલા પાકના પૂરતા ભાવો નહિ મળતા અને પાકવીમા સહિતના પ્રશ્નોથી ઘેરાયેલા ખેડૂતો સાથે કૃભકો કંપની મજાક કરી રહી છે અને ધોળે દિવસે ખુલ્લી લૂંટ ચલાવી રહી છે, ત્યારે આ દેશવ્યાપી કોભાંડ હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. તો હવે સંવેદનશીલ સરકારના દાવા કરતી રાજ્ય સરકાર આ મામલે તટસ્થ તપાસ કરાવશે કે પછી ભીનું સંકેલાઈ જશે તેવા સવાલો ચર્ચાઇ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details