હળવદઃ કોરોનાની મહામારીને પગલે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને પોતાના તૈયાર પાક વેચાયા ન હોઇ ખેડૂતો આર્થિક રીતે કંગાળ બન્યાં છે. આવી જ સ્થિતિ હળવદના માનસર ગામના ખેડૂતોની છે જેને શેરડીનું વેચાણ ન થતા શેરડીના પાકને સળગાવી નાખવાનો વારો આવ્યો છે.
જગતનો તાત રુઠ્યો! ભાવ ન મળતા માનસરના ખેડૂતોએ શેરડીનો પાક સળગાવી નાખ્યો - કોરોના
ધરતી ખેડી બીજમાંથી અનેકગણું પામી વિવિધ પાક લેતાં ખેડૂતને તેની મહેનતનું મૂલ્ય ન મળે ત્યારે આવું પરિણામ આવી શકે છે. મીઠી મધ શેરડીના મીઠાં મોલ ન મળતાં હળવદના માનસર ગામના ખેડૂતોએ શેરડીનો પાક બાળી નાંખ્યાની ઘટના બની છે.

હળવદના માનસર ગામના ખેડૂતો દર વર્ષે શેરડીનું વાવેતર કરતા હોય છે. જોકે ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે શેરડીનું વેચાણ થયું નથી અને ખેડૂતોના શેરડીના તૈયાર પાક પડ્યાં રહ્યાં છે. તેમ જ લોકડાઉનમાં રસના ચીચોડા પણ બંધ રહ્યાં હોઇ સ્થાનિક વેચાણ પણ થઇ શક્યું ન હતું.
માનસર ગામના ખેડૂતો જણાવે છે કે આ વર્ષે શેરડીના પાકમાં 15થી વધુ ખેડૂતોને એક કરોડથી વધુનું નુકશાન થયું છે અને કરોડથી વધુ રૂપિયાના નુકશાનનો દાવો ખેડૂતો કરી રહ્યાં છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ બગડી હોવાનું પણ જણાવી નિરાશ થયેલ ખેડૂતોએ શેરડીના પાકને સળગાવી નાખ્યો હતો.