મોરબીઃ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ એ.ડી.ઓઝા દ્વારા કોરોના અંગે સાવચેતીના પગલા રૂપે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં પક્ષકારોએ અનિવાર્ય સંજોગો સિવાય કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર નહીં રહેવા જણાવ્યું છે. આ ઉપરાંત જ્યુડિશયલ ઓફિસરો, વકીલો, પક્ષકારો અને સ્ટાફ કર્મચારીઓએ એકબીજાનું અભિવાદન કરવા હસ્તધૂનનના બદલે નમસ્તે કરવા અપીલ કરાઈ છે.
કોર્ટમાં આવનારા તમામ વ્યક્તિના સ્કેનીંગ માટે જરૂરી સંખ્યામાં ટેમ્પરેચર ગન/ થર્મલ સ્કેનરનો સ્ટોક મંગાવાયો છે. જે આવી ગયા પછી ટેમ્પરેચર ગન/ થર્મલ સ્કેનર દ્વારા સ્ક્રીનીંગ કરાવ્યા બાદ જ જે તે વ્યક્તિઓને કોર્ટ સંકુલમાં પ્રવેશ આપવામાં આવશે.
'કોરોનાના કારણે': મોરબી કોર્ટમાં સ્કેનીંગ અને સેનેટાઇઝરના ઉપયોગ વગર પ્રવેશબંધી કોર્ટ દ્વારા વકીલો અને પક્ષકારોની ગેરહાજરી બાબતે તેમની સામે કોઈ ગંભીર કે આક્રમક પગલા લેવા નહી, કોરોના વાઈરસ ફેલાય નહી તેની સાવચેતીના ભાગરૂપે કોર્ટ સંકુલમાં કોર્ટ સ્ટાફ, વકીલો, પક્ષકારો અને પોલીસ કર્મચારીઓએ સામુહિક રીતે એક જગ્યાએ એકઠા થવાનું કે ટોળામાં ઉભા રહેવાનું ટાળવા જણાવાયુ છે.
તમામ જ્યુડીશ્યલ ઓફિસરો અને નાઝરઓએ તેમની કોર્ટ અને સમગ્ર કોર્ટ સંકુલમાં નિયમિત પણે સફાઈ કરાવડાવી, નગરપાલિકા સાથે સંકલન સાધી કોર્ટ સંકુલમાં જરૂરી દવાઓનો છંટકાવ કરી જંતુ મુક્ત બનાવી, જે તે નગરપાલિકા અને હોસ્પિટલ પાસેથી જરૂરિયાત પ્રમાણે ટેમ્પરેચર ગન, ગ્લોઝ, માસ્ક અને સેનેટાઈઝર મેળવી કોર્ટ સંકુલમાં બહોળો ઉપયોગ કરવો. તમામ વકીલોએ બાર લાઈબ્રેરીનો ઉપયોગ ટાળવો અને વકીલ બાર રૂમમાં લાંબા સમય સુધી બેસી ન રહી, જરૂરી કામ પુરતુ જ કોર્ટ સંકુલમાં હાજર રહેવાની સુચના અપાઈ છે
કોર્ટ કેસમાં પુરાવાના સમયે આરોપીની ઓળખની તકરાર કે ઉલટ તપાસ ન હોય તેવા આરોપીને મુદત દરમિયાન હાજર રખાવવા નહી, જો આરોપી જેલમાં હોય તો જે તે કોર્ટમાં તારીખ હોય તે પહેલા જ ઓળખની તકરાર ન હોય તો કોર્ટને તે બાબતની જાણ કરવી જેથી આ બાબતે આગળની કાર્યવાહી કરી શકાય. આ ઉપરાંત તમામ વકીલોને તેમના અસીલોને મુદતના દિવસે હાજર રહેવા માટે આરોપી/સાહેદો(સાક્ષી) કોર્ટમાં એકલા હાજર રહે. અન્ય વ્યક્તિઓને કોર્ટમાં સાથે લાવવા નહી તેવી સુચના અપાઈ છે. તમામ કોર્ટ સ્ટાફ કર્મચારીઓને 31 માર્ચ સુધી બાયોમેટ્રિક હાજરી પુરવામાં ફક્ત ફેઈસ ડીટેકશનનો જ ઉપયોગ કરવાનો રહેશે. ફિંગર પ્રિન્ટ હાજરી પૂરવી નહી તેવી સુચના આપી છે. આ તમામ નિયમોનો ચુસ્તપણે અમલ કરવા માર્ગદર્શીકામાં કહેવાયુ છે.