- ઐતિહાસિક ઐઠોર ગણપતિ મંદિરે પરંપરાગત શુકન મેળો કોરોનાને કારણે મોકૂફ
- દર ચૈત્ર માસમાં ઉજવાય છે શુકન મેળો
- 14 થી 16 એપ્રિલ ત્રિદિવસીય શુકન મેળાનું આયોજન રદ કરાયું
મહેસાણા:ઊંઝા તાલુકાના ઐઠોર ગામે રેણુધારી ગણપતિ દાદાની પૌરાણિક મૂર્તિ ધરાવતું ઐતિહાસિક મંદિર આવેલું છે. જ્યાં ચૈત્ર માસમાં દર વર્ષે વર્ષો જૂની પરંપરા મુજબ શુકન મેળો યોજાતો હોય છે આ શુકન મેળામાં હજારોની સંખ્યામાં ભક્તો-દર્શનાર્થીઓ ઉમટી પડતા હોઈ છે. મંદિર સંસ્થાન દ્વારા આ વખતે સતત બીજા વર્ષે પણ શુકન મેળાનું આયોજન કોરોના મહામારીને જોતા મોકૂફ રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો:બનાસકાંઠાના મહાદેવીયા ગામે યોજાતો મેળો કોરોનાને કારણે રદ
ઐઠોરના શુકન મેળામાં વર્ષનો વરતારો કાઢવામાં આવતો હોય છે
ઊંઝાના ઐઠોર ગણપતિ દાદાના મંદિરે ચૈત્ર માસમાં 14થી 16 એપ્રિલ ત્રિદિવસીય શુકન મેળાનું આયોજન કરાયું હતું જે મોકૂફ રાખવામાં આવ્યું છે. પરંપરા મુજબ દર વર્ષે શુકન મેળામાં ગામના વડવાઓ પરંપરા મુજબ અનાજના કણ આધારે શુકન જોતા હોય છે. જે ધાર્મિક પરંપરા માનીને મોટી સંખ્યામાં લોકો અહીં શુકન મેળો જોવા આવે છે. આ ત્રણ દિવસ દરમિયાન ચગડોળ, ચક્કી, અને રમત-ગમતના રમકડાં સહિતના સાધનો ચોકમાં ગોઠવીને મેળામાં મનોરંજન પણ પૂરું પાડવામાં આવે છે અને ત્રણ દિવસના અંતે ખેડૂતો અને અન્ય નાગરિકો માટે આગામી વર્ષ કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. જોકે, કોરોના મહામારી જોતા આ વખતે પરંપરાની ઉજવણી બંધ રાખવામાં આવી છે.
આ પણ વાંચો:ભિલોડાના ભવનાથ મંદિરમાં શિવરાત્રીનો મેળો નહી યોજાય