મહીસાગર: હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાઈરસ (કોવિડ-19)ને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મહામારી જાહેર કરવામાં આવી છે. આ સંદર્ભે કોરોના વાઈરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેની તકેદારીના ભાગરૂપે લોકોની અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે મહિસાગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કડક અમલ કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
મહિસાગર પોલીસ દ્વારા લોકડાઉનનો કડક અમલ, 107 લોકો સામે કાર્યવાહી સાથે 83 હજારનો દંડ વસૂલાયો
કોરોના વાઈરસના કારણે જાહેર કરાયેલા લોકડાઉન દરમિયાન કામ વગર અવર-જવર કરતા લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. આ અંતર્ગત મહીસાગર પોલીસે કુલ 107 લોકો સામે કાર્યવાહી કરી છે. તેમજ તેમની પાસેથી કુલ રૂપિયા 83,000નો દંડ પણ વસુલવામાં આવ્યો છે.
પોલીસ વિભાગ દ્વારા લોકડાઉનના ચુસ્ત અમલ કરાવવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા પંચમહાલ-ગોધરા રેન્જ અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડા તથા નાયબ પોલીસ અધિક્ષક એન. વી. પટેલ દ્વારા મળેલા સીધા માર્ગદર્શન હેઠળ લોકડાઉન દરમિયાન કામ વગર અવરજવર કરતા લોકોને મહીસાગર જિલ્લામાં આવેલા પોલીસ દ્વારા દંડિત કરવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા 11મી મેના રોજ જાહેરનામા ભંગના 107 કેસ તથા 113 વાહનો ડિટેઈન કરી વાહનનો દંડ રૂપિયા 38,000 તેમજ સ્થળ પર કરેલા દંડ રૂપિયા 45,000 સહિત કુલ રૂપિયા 83000 દંડ પેટે વસુલ કરવામાં આવ્યા હતા. આમ, લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા પોલીસ વિભાગ સજ્જ અને સતર્ક છે.