તો આ વખતે ભાજપ દ્વારા કદાવર ગણાતા નેતા એવા પ્રભાતસિંહ ચૌહાણની ટિકિટ કાપીને લુણાવાડાની અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટીકીટ આપીને સૌને ચોકાવ્યા છે. ત્યારે કોંગ્રેસ પાછલી 2 હારમાંથી કદાચ બોધપાઠ શીખીને મોરવા હડફના કોંગ્રેસી નેતા વેચાતભાઈ ખાંટને મેદાને ઉતાર્યા છે. તો બક્ષીપંચ અને ક્ષત્રિય મતદારો ધરાવતી આ બેઠક પર કુલ 6 ઉમેદવારો ફાઇનલ થયા છે. આ વખતે 2 નવા નિશાળીયાઓ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાવાનો છે.
મધ્ય ગુજરાતની મહત્વની ગણાતી પંચમહાલની લોકસભા બેઠક ઉપર આ વખતે બે નવા નિશાળીયાઓ વચ્ચે સીધો જંગ ખેલાવાનો છે. જિલ્લાનું વડુ મથક એવા ગોધરા 2002માં ટ્રેનકાંડ બાદ દુનિયાભરમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યું હતુ. પંચમહાલ લોકસભા બેઠકમાં મોરવા હડફ, ગોધરા, શહેરા, કાલોલ, ઠાસરા, બાલાસિનોર, લુણાવાડા સહિતના સાત વિધાનસભાનો સમાવેશ થાય છે. જેમા શહેરા, ગોધરા, કાલોલમાં ભાજપ અને મોરવા હડફમા કોંગ્રેસની બેઠકો છે. મહિસાગર જિલ્લામાં લુણાવાડામાં અપક્ષ બાલાસિનોરમાં કોંગ્રેસ અને ખેડાના ઠાસરામાં પણ કોંગ્રેસનું પ્રભૂત્વ છે. આમ ભાજપ પાસે અપક્ષ મળીને 4 અને કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. જો કે લોકસભાની ચૂંટણીમાં મતદારોનો મિજાજ વિધાનસભા ચૂંટણી કરતા અલગ હોય છે.
પંચમહાલ લોકસભા બેઠક પર પાછલા 4 ટર્મથી ભાજપનું શાસન છે. જેમાં 1999 અને 2004માં ભુપેન્દ્રસિંહ સોલંકી અને 2009 અને 2014માં પ્રભાતસિંહ ચૌહાણે જીત મેળવી છે. તો આ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પ્રભાતસિંહ ચૌહાણની ટિકિટ કાપી નાંખવામાં આવતા પંચમહાલની રાજનિતીમાં ગરમાવો આવ્યો હતો. જો કે ટિકિટ કપાતા પ્રભાતસિંહ નારાજ પણ થયા હતા. ત્યારબાદ માની પણ ગયા હતા. ભાજપે આ વખતે લુણાવાડાના અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટિકિટ આપી છે. જેમણે 2017માં લુણાવાડા વિધાનસભા બેઠક જીત્યાબાદ ભાજપને પોતાનો બિનશરતી ટેકો જાહેર કર્યો હતો. પણ મુળ તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાઈને રાજકારણમાં આવ્યા હતા. તેઓને કોંગ્રેસે ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવારી વિધાનસભા ચૂંટણી વખતે કરી હતી. જીતીને ભાજપને બિનશરતી ટેકો જાહેર કર્યો હતો. હવે ભાજપે તેમને ટિકિટ આપી છે.