મહિસાગર : કોરોના અંગેની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી મનરેગાની કામગીરી કપરા સમયમાં પણ શ્રમિકોને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે. જિલ્લામાં આગામી ચોમાસા દરમિયાન ગામનું પાણી ગામમાં સંગ્રહ થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ સંબંધિત ગ્રામ પંચાયતના સંકલનથી 590 જેટલા મનરેગાના કામો હાથ ધરવામાં આવ્યા છે.
મહિસાગરમાં મનરેગા યોજના હેઠળ રોજગાર લક્ષી કામો શરૂ
રાજ્યમાં રોજનું કમાઇને જીવન ગુજારો ચલાવતા પરિવારો આ કોરોના મહામારીની કપરી પરિસ્થિતિમાં બે ટંકનુ રળી જીવન ગુજારી શકે તે માટે રાજ્યમાં મનરેગા કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે સંદર્ભે મહિસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા યોજના હેઠળના કામો સોસિયલ ડિસ્ટેન્સ તેમજ સરકારની ગાઇડલાઇન અનુસાર નિયમનું પાલન કરી શરૂ કરવામાં આવ્યું છે.
જેમાંથી 286 કામો જળ સંરક્ષણ, જળસંચય અને દુષ્કાળ પ્રતિરોધકના છે. જ્યારે 304 કામો PMAY અને અન્ય માળખાકીય કામો શરૂ કરી શ્રમિકોને પોતાના ગામમાંજ રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે.
શ્રમિકોને અત્યાર સુધી 10395 માનવદિન રોજગારી પૂરી પાડવામાં આવી છે. સાથે સાથે લોકોને શુદ્ધ પીવાનું પાણી અને ગરમીનામાં રાહત મળી રહે તે માટે છાશનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં પણ શ્રમિકોને રોજગારી મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલા મનરેગા કામોના પરિણામે રોજનું કમાઇને જીવનનિર્વાહ કરનાર શ્રમિકો મનરેગાના માધ્યમથી રોજગારી મેળવી સ્વમાનભેર જીવન જીવી રહ્યા છે. રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણય અને અસરકારક પગલાના કારણે ગ્રામ્ય અર્થતંત્ર ધીરે ધીરે વેગવંતુ બની રહ્યું છે.