મહીસાગર: મહિસાગર જિલ્લાનાં બાલાસિનોર તાલુકા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ લોકડાઉનની પરિસ્થિતિમાં મુશ્કેલીમાં મુકાયેલા બાલાસિનોરના વૃદ્ધો, વડીલો તેમજ નિઃસહાય જરૂરિયાતમંદોની વહારે સેવાભાવી સંસ્થાઓ આવી છે.
લાયન્સના સભ્યો દ્વારા બાલાસિનોરમાં વૃદ્ધો, વડીલોને રાશન કીટનું વિતરણ કરાયું - મહીસાગર કોરોના ન્યૂઝ
કોરોના વાઈરસ(કોવિડ-19) કારણે જે વૈશ્વિક મહામારી ઊભી થઈ છે, તેના નિવારણ માટે રાજ્ય સરકાર સર્વગ્રાહી પગલાં લઈ રહી છે. લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા સાથે લોકડાઉનના સમયમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે તે માટે સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓએ કરેલ અપીલના અનુસંધાને અનેક સંસ્થાઓએ યથાશક્તિ કામગીરી કરીને સેવા સંસ્કારની ભાવના ઉજાગર કરી છે. બાલાસિનોર લાયન્સના સભ્યો દ્વારા વૃદ્ધો, વડીલોને જીવન જરૂરિયાતની 40 રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું છે.
બાલાસિનોર લાયન્સના સભ્યો દ્વારા બાલાસિનોર નગરમાંના વિવિધ વિસ્તારોમાં રહેતા વૃદ્ધ,વડિલો અને નિઃસહાય જરૂરિયાતમંદોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કિટ બનાવી કે જેમાં દાળ, ચોખા, ઘઉંનો લોટ, કપાસિયા તેલ, મીઠું, ચા-ખાંડ, મરી-મસાલા અને શાકભાજીની 40 કિટ તૈયાર કરી તેનું નગરમાં ઘરે ઘરે જઈ વૃદ્ધો, વડીલોને વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ પ્રમુખે જણાવ્યું કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કિટ તૈયાર કરી વૃદ્ધો, વડીલોને જરૂરિયાતમંદોને પહોંચતી કરી આ પરિસ્થિતિમાં તેમને મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.