લુણાવાડાઃ મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરની જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતી ધોરણ સાતની બાલિકા અર્ચના તડવીએ કલાત્મક પેઇન્ટિંગ દ્વારા કોરોના સામે લડતા યોદ્ધાઓ જેવા કે ડૉક્ટર અને પોલીસ કર્મીઓની ફરજોની વિગતોને પોતાના કલર પેઈન્ટીંગમાં વણી લઇ લોકજાગૃતિનો સરાહનીય "ઘરમાં રહો સુરક્ષિત રહો"નો સંદેશ આપ્યો છે.
અર્ચનાએ ચિત્રકલા દ્વારા કોરોના વાઇરસ અંગે જનજાગૃતિનો સંદેશો આપ્યો - ઘરમાં રહો સુરક્ષિત રહો
વિશ્વભરમાં કોરોના મહામારીની વચ્ચે મહીસાગરની અર્ચનાએ પોતાની ચિત્રકળા દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવતો સંદેશો આપ્યો છે. જેમાં ઘરમાં રહો, સુરક્ષિત રહોના ચિત્ર દ્વારા ડૉક્ટર અને પોલીસની સેવાને વખાણવામાં આવી છે.
અર્ચના જણાવે છે કે, ભારત દેશ અને આપણું ગુજરાત રાજ્ય જ્યારે કોરોના વાઇરસના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે લૉકડાઉનના સમયમાં મને ઘરમાં વિચાર આવ્યો કે, હું સરસ પેઇન્ટિંગ કલા જાણું છું, તો મારા પેઇન્ટિંગ દ્વારા લોકોની જાગૃતિ માટે ડૉક્ટરો અને પોલીસ કર્મીઓની કપરા સમયની ફરજોને પેઇન્ટિંગ દ્વારા લોકો સમક્ષ રજૂ કરી તેમની સેવાઓને બિરદાવવા હું સહભાગી બનું. લોકોની ફરજ બને છે કે, ડોક્ટર અને પોલીસમેન રાત દિવસ થાક વગર આ મહામારી સામે મોરચો માંડી લડી રહ્યા છે, ત્યારે આપણે પણ તેમને સાથ સહકાર આપવો જોઈએ.
જેમ કે, કોઈ અગત્યના કામ સિવાય ઘરની બહારન નીકળીએ, સામાજિક અંતર જાળવીએ, માસ્કનો ઉપયોગ કરીએ, વારંવાર સાબુથી હાથ ધોઈએ, ખોટી અફવાઓ ન ફેલાવીએ જેવી નાનામાં નાની બાબતોની કાળજી લઈને કોરોના યુદ્ધના સેનાનીઓને સહકાર આપી આવી પડેલી મહામારીનો મુકાબલો કરી કોરોનાને મહાત આપવામાં મે જે પેઇન્ટિંગ બનાવેલું છે, જે મહત્વનો ફાળો ભજવશે. આ સાથે ઘરમાં રહો સુરક્ષિત રહો ની સૌને અપીલ કરુ છું.