મહીસાગર જિલ્લાના 3211 રમતવીરોને રૂપિયા 56 લાખથી વધુના પુરસ્કાર અપાયા
મહીસાગરમાં ખેલમહાકુંભના વિજેતાઓને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો - ખેલમહાકુંભના વિજેતા
લુણાવાડા: રાજયમાં રમતગમત ક્ષેત્રે ખેલાડીઓમાં રહેલી પ્રતિભાને નિખારવા રાજય સરકાર દ્વારા દર વર્ષે ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ખેલમહાકુંભ 2019માં વિજેતા ખેલાડીઓનો સન્માન સમારોહ અને પ્રમાણપત્ર ઈનામ વિતરણ કાર્યક્રમ અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશભાઇ પાઠકના અધ્યક્ષસ્થાને લુણાવાડા પી.એન. પંડ્યા કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. ખેલમહાકુંભ 2019માં મહીસાગર જિલ્લાના 3211 વિજેતા ખેલાડીઓને 56 લાખથી વધુના પુરસ્કારના નાણા સીધા જ તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી રહ્યાં છે.
![મહીસાગરમાં ખેલમહાકુંભના વિજેતાઓને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો ખેલમહાકુંભના વિજેતાઓને પ્રમાણપત્ર ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5374642-793-5374642-1576334771940.jpg)
આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએ ટેકવેન્ડો રમતમાં ત્રીજા નંબરે વિજેતા થનાર જયશ્રી બારોટ સહિત જિલ્લા કક્ષાએ વિવિધ રમતોમાં વિજેતા થનાર રમતવીરોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ખેલમહાકુંભમાં રાજય કક્ષાએ વાંસકૂદમાં બીજા નંબરે આવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
વિજેતા ખેલાડીઓને સંબોધન કરતા નિગમના ચેરમેન પાઠકે જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ગુજરાતમાં રમતવીરોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2010 થી દર વર્ષે ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજની પેઢી ભાગ્યશાળી છે કે, ખેલમહાકુંભનું આયોજન થાય છે તેનાથી અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ મળ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, દર વર્ષે ખેલમહાકુંભમાં ખેલાડીઓના રજીસ્ટ્રેશનમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે.