ગુજરાત

gujarat

ETV Bharat / state

Water Crises: બન્નીના નાના સરાડા ગામના માલધારીઓની હિજરત, ખુદ સરપંચે ગામ છોડ્યું - હિજરત

કચ્છ બન્ની વિસ્તારમાં માલધારીઓ લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પીવા માટે પાણી તેમજ પશુ માટે ઘાસચારો ન મળતા નાના સરાડા ગામના માલધારીઓ ઘર ખાલી કરીને હિજરત કરી ગયા છે. સામે પક્ષે ગુજરાત પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર કંઇક જુદું કહી રહ્યાં છે.

Kutch News : બન્નીના નાના સરાડા ગામના માલધારીઓની હિજરત, સરપંચ ખુદ પશુઓ સાથે ગામ છોડી ગયા
Kutch News : બન્નીના નાના સરાડા ગામના માલધારીઓની હિજરત, સરપંચ ખુદ પશુઓ સાથે ગામ છોડી ગયા

By

Published : Mar 15, 2023, 5:52 PM IST

માલધારીઓ લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે

કચ્છ : આ વર્ષે કચ્છમાં ઉનાળો વહેલો શરૂ થયો છે અને બન્ની વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે. ભુજ તાલુકાનો બન્ની વિસ્તાર પશુપાલન વ્યવસાય માટે જાણીતો છે. તેમાં આસપાસના ગામમાં અત્યારથી જ પાણીની સમસ્યા સર્જાઈ છે પશુપાલક એવા માલધારીઓને પાણી માટે ભારે સંધર્ષ કરવો પડી રહ્યો છે.નાના સરાડા ગામના સરપંચ ખુદ ગામમાં પાણીની સમસ્યા હોતાં પોતાના પશુઓ લઈને અન્ય સ્થળે હિજરત કરી રહ્યા છે.

પાણીની વ્યવસ્થા ન થતાં ગામના લોકો કરી રહ્યા છે હિજરત : બન્ની વિસ્તારના મોટાભાગના માલધારીઓ પશુપાલન સાથે સંકળાયેલા છે અને ખાસ કરીને પાણીની સમસ્યાના કારણે પશુઓની પણ હાલત બહુ ખરાબ છે અને સાથે જ ઘાસચારાની પણ તકલીફ છે.પાણીની વ્યવસ્થા ના થતાં ગામના લોકોને હિજરત કરવી પડે છે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે.ગામના લોકો જિલ્લાના અન્ય તાલુકાઓમાં જ્યાં ઘાસચારો અને પાણી મળી રહે તેવા વિસ્તારમાં હિજરત કરી રહ્યા છે.

100 જેટલા ઘરો પાણીની સમસ્યાના કારણે હિજરત કરી ગયા :નાના સરાડા ગામમાં 250 જેટલા ઘરો છે 1600 જેટલી વસ્તી અને 16000 જેટલું પશુધન છે. ગામનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે.માલધારીઓને પાણીની સમસ્યાની સાથે સાથે ઘાસચારાની પણ સમસ્યા ઘણા સમયથી સતાવે છે. ગામમાં અત્યારથી જ ઘાસ અને પાણીની સમસ્યા ઊભી થતાં માલધારીઓ ચિંતીત બન્યા છે. 100 જેટલા ઘરો તો પાણીની સમસ્યાના કારણે ખાલી થઈ ગયા છે અને અન્ય તાલુકાઓમાં પરિવાર અને પશુધન સાથે હિજરત કરી ગયા છે.

આ પણ વાંચો Water Crisis: હર ઘર જળની વાતો કરતી સરકાર આજે પણ કચ્છના બન્ની વિસ્તારમાં નથી પહોંચાડી શકી પાણી, લોકોની દયનીય હાલત

પાણી અને ઘાસની સમસ્યા : નાના સરાડા ગામના સરપંચ અમુલા જતે ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગામમાં ઘાસની અને મોટામાં મોટી સમસ્યા પાણીની છે.માલધારીઓ મોટેભાગે પશુઓ પર આધારિત છે જેના કારણે માલધારીઓના જનજીવન પર અસર પડી છે જેથી કરીને માલધારીઓ હિજરત કરી ગયા છે. ગામમાં ઘાસ પણ ન હોવાથી માલધારીઓને અહીંથી ચાલ્યા જવું પડ્યું છે અન્ય તાલુકાઓમાં કોઈ વ્યવસ્થા કરવી પડી રહી છે. તો હિજરતના કારણે માલધારીઓના બાળકોનું પણ ભણતર પણ બગડી રહ્યું છે.ગામને પૂરતું પાણી આપવામાં આવે તેવી માંગણી માલધારીઓ કરી રહ્યા છે.

પાણીની સમસ્યા કાયમી ધોરણે દૂર કરવા માગ : સરાડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ફકીરમામદ જતે જણાવ્યું હતું કે ગામમાં પાણીની સમસ્યાના લીધે જ માલધારીઓને હિજરત કરવી પડી રહી છે. બન્ની વિસ્તાર એકદમ ખુલ્લો વિસ્તાર છે આ વિસ્તારને મૂકીને કોઈ જાય નહીં પરંતુ અહીં પાણીની સમસ્યાના કારણે હિજરત કરવી પડી રહી છે.બાળકોનું ભણતર પણ આ પાણીની સમસ્યાના કારણે જ બગડી રહી છે.માલધારીઓ અંજાર તેમજ ભચાઉ તાલુકાના વિવિધ ગામોમાં હિજરત કરી રહ્યા છે.આ સમસ્યા કાયમ માટે દૂર કરવામાં આવે અને ગામ માટે જે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે તેમાંથી પાણી આપવામાં આવે તેવી માંગ છે.

અધિકારી કહે છે મોટાભાગના ગામમાં પાણીની ફરિયાદ નથી: પાણીની સમસ્યા અંગે વાતચીત કરતા ગુજરાત પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર ડી.જી. રામાનુજે જણાવ્યું હતું કે, હાલમાં છેલ્લાં 1 અઠવાડિયાથી પાણી નિયમિત મળે છે. મોટાભાગના ગામોમાં પાઇપલાઇનમાંથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.જે ગામમાં પાણી પુરવઠા બોર્ડની કનેક્ટિવિટી નથી કે જ્યાં દૂરના વિસ્તાર કે જ્યાં માલધારીઓ પશુઓ ચરાવવા જાય છે અને ત્યાં ચાર પાંચ ઘર કે એવી રીતે કરીને બેઠા છે ત્યાં પાણી પુરવઠા બોર્ડની પાઇપલાઇન નથી ત્યાં જ પાણીની ફરિયાદો મળે છે. બાકી મોટાભાગના ગામમાં પાણીની કોઈ ફરિયાદ નથી નિયમિત પાણી આપવામાં આવે છે.

આ પણ વાંચો Water Crisis in Gujarat : કચ્છના આ ગામમાં પીવાના પાણીની પળોજણ કેવી વિકટ બની જૂઓ

77 કરોડની યોજના અંતર્ગત પહોંચાડવામાં આવે છે પાણી: ડિસેમ્બર 2022માં વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ભુજ મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય દ્વારા બન્ની જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના કે 77 કરોડની હતી તેનો ખાતમુર્હુત કરવામાં આવ્યો હતો. જે યોજનાનો મહદ અંશે કામ પૂર્ણ થયેલ છે અને એ પાઇપલાઇન દ્વારા હાલમાં કુકમા સંપથી નર્મદાનું પાણી ઇન્ડિયા બ્રિજ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે ઉપરાંત વચ્ચે આવતા બધા ગામો અનેક વર્ષોથી પાણીની ફરિયાદ હતી જ્યાં લોખંડની નવી પાઇપલાઇન નાખી પાણી ચાલુ કરી દેવાયુ છે.તો બીજા ગામોમાં હજી કામગીરી પૂર્ણ નથી થઈ પરંતુ આ ગામોમાં સતત 24 કલાક પાણી મળી રહે તે માટેનું કામ થઈ રહ્યું છે.

દૂષિત પાણીની સમસ્યા ટાંકાની સફાઈ કરી દૂર કરાશે : ગામના લોકોની દૂષિત પાણી અંગેની ફરિયાદો અંગે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે એવું હશે તો પાણીથી ટાંકો સાફ કરી દેવામાં આવશે અને ક્લોરિનયુક્ત પાણી કરી દેવામાં આવશે જેથી ટાંકો એકદમ સાફ કરી દેવામાં આવશે. વરસાદી પાણીમાં દૂષિત પાણી આવ્યો છે તેનો થોડો પાણીમાં કલર છે એ નીચે માટી હોય માટે થોડો લાલ દેખાય છે પણ ખરેખર એ પાણી તાત્કાલિક ટાંકો સાફ કરી દઈને સમસ્યા દૂર કરાશે.

પશુઓ માટે પણ નિયમિત પાણી આપવામાં આવે છે : હિજરત અંગે વાતચીત કરતા ગુજરાત પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર ડી.જી. રામાનુજે જણાવ્યું હતું કે, દરરોજ નિયમિત રીતે ગામને પાણી આપવામાં આવી રહ્યું છે. આ ગામમાંથી હિજરત કરવાનો પ્રશ્ન જ નથી કારણકે પશુઓ માટે સૌથી વધુ ઘાસ આવા વિસ્તારોમાં જોવા મળે છે. આ વિસ્તારમાં માનવવસ્તી કરતા 10 ગણું પશુધન છે છતાંય પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં ઊંટ ઉછેર કેન્દ્રના 350 ઊંટ છે તેમને પણ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details