વાપીઃ થાઇલેન્ડના પ્રવાસથી મુંબઈ એરપોર્ટ ઉતરી ત્યાંથી બાંદ્રા આવી કચ્છ એકપ્રેસમાં ભુજ જવા નીકળ્યા હતા, ત્યારે ટ્રેનમાં 4 મુસાફરોના હાથમાં કોરોના સ્ટેમ્પના ચિહ્નો જોતા રેલવે RPFને જાણ કરી હતી. બાદમાં રેલવેની ટીમે પાલઘરમાં ચારેય મુસાફરોને ટ્રેનમાંથી ઉતારી ચેકીંગ કરી ટ્રેનને રવાના કરી હતી અને તુરંત જ ટ્રેનના જે કોચમાં મુસાફરો હતા તે કોચને વાપીમાં સેનીટાઇઝેશન કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, મૂળ કચ્છના ભુજ શહેરના બે યુવકો અને 2 યુવતીઓ કચ્છ એક્સપ્રેસના B-1 કોચમાં ભુજ જવા માટે મુસાફરી કરી રહ્યા હતાં, ત્યારે કોચમાં રહેલા મુસાફરોએ તેઓના હાથ પર Quarantine stamp (suspecting corona infection)નું ચિન્હ જોયું હતું. જે અંગે રેલવે RPFને જાણ કરતા રેલવેની RPF અને ઇમરજન્સી ટીમે ટ્રેનને પાલઘર ખાતે રોકી ચારેય મુસાફરોની પૂછપરછ કરી હતી. જેમાં 1 મિત લાખાણી, ભૂમિત નંદા, નીલમબેન, દિવ્યા લાખાણી નામના આ મુસાફરો થાઈલેન્ડ પ્રવાસે ગયા હતાં અને ત્યાંથી મુંબઈ એરપોર્ટ પર તેમનું મેડિકલ ચેકીંગ કરાયું હતું. તે દરમિયાન તેઓના હાથ પર આ ચિન્હ કરાયું હોવાનું સામે આવ્યું હતું.