કચ્છમાં કોંગ્રેસ છોડીને 900થી વધુ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહે તેનો યશ ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાને આપ્યો છે. ચુડાસમાએ આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદીનું સ્વપ્ન દેશને કોંગ્રેસ મુક્ત કરવાનું છે. મંગળવારે મુંદ્રાથી તેના ફરી એક વખત શ્રી ગણેશ થઈ રહ્યાં છે. મંગળવારના કાર્યક્રમની જાણ રાજ્ય અને રાષ્ટ્રના ભાજપની ઉચ્ચ સ્તરીય સમિતિ સમક્ષ કરવામાં આવશે.
કચ્છમાં કોંગ્રેસને ફટકો, 900થી વધુ કાર્યકર્તા જોડાયા ભાજપમાં - ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા
કચ્છ: પંથકના રાજકરણમાં અનેક હલચલ વચ્ચે મુંદ્રામાં કોંગ્રેસના મહામંત્રી સહિત 900થી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હોવાનો દાવો કરાયો છે. દરમિયાન ભાજપના પ્રવેશ આવકારને લઈ ભાજપમાં પણ આંતરિક ગણગણાટ થઈ રહ્યો છે. શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ સભ્યોને આવકાર આપ્યો અને કહ્યું કે, ભાજપ એ કોઈ પાર્ટી કે પક્ષ નથી પણ પરિવાર છે.
![કચ્છમાં કોંગ્રેસને ફટકો, 900થી વધુ કાર્યકર્તા જોડાયા ભાજપમાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4756676-thumbnail-3x2-m.jpg)
ભાજપમાં પ્રવેશ મેળવનારાઓમાં જિલ્લા કોંગ્રેસના મહામંત્રી કિશોરસિંહ પરમાર, દિલાવરસિંહ જાડેજા, મહિપતસિંહ જાડેજા, ભગવતસિંહ પરમાર, નરેન્દ્રસિંહ પરમાર, રાજેનગીરી ગોસ્વામી, અરવિંદસિંહ જાડેજા, રહિમભાઈ ખત્રી, નજીબ અબ્બાસી, સંજય સોની, ચતુરસિંહ જાડેજા ઉપરાંત કોંગ્રેસમાં સંગઠનનો હોદ્દો ધરાવતી સ્વૈચ્છિક સંસ્થા અને જ્ઞાતિ મંડળના પ્રમુખો સહિત અંદાજે 900 લોકોનો સમાવેશ થાય છે.
અગ્રણી કિશોરસિંહ પરમારે જણાવ્યું કે, ધારાસભ્ય વીરેન્દ્રસિંહમાં લોકોને પોતાના કરવાની તાકાત છે. તેમનો પ્રભાવ જોઈ અમે ભાજપમાં જોડાવાનું પસંદ કર્યું છે. આ સમારોહ વચ્ચે કોગ્રેસના 12 કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી, જયારે મુંદ્રાના બસ સ્ટેશન વિસ્તારમાં કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી ભાજપ ઉપર આક્ષેપો કર્યા હતાં.