- ભુજની કોર્ટનો માતાના મઢની પત્રિવિધી બાબતે ઐતિહાસિક ચુકાદો
- પત્રિવિધીનો એકમાત્ર અધિકાર કચ્છના મહારાણીને
- 350 વર્ષથી ચાલી આવતી પત્રિવિધીના અધિકાર અંગેના વિવાદનો આવ્યો ચુકાદો
કચ્છ: આ સમગ્ર કેસ 26 સપ્ટેમ્બર 2009 ના રોજ સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજા ઓફ કચ્છ નવરાત્રિ દરમ્યાન પત્રિવિધીની પૂજા માટે માતાના મઢ ગયા હતા. તે સમયે ચાચરા કુંડ મધ્યે જતા પગથિયા ચડતી વખતે તકલીફ ઉભી થતાં તેઓ તેવી પરિસ્થિતિમાં બાકીની વિધિ પૂરી કરી શકે તેવી પરિસ્થિતિ ન હોતાં. તેમની સાથે રહેલા જુવાનસિંહ હમીરસિંહ જાડેજાને આ વિધિ કરવા માટે જણાવ્યું હતું. તે સમયે માતાના મઢના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ ગુરુ કરમશી રાજાબાવા દ્વારા આ વિધિ કરતા તેમને રોકેલા અને તેથી સૈકાઓથી ચાલી આવતી તે પત્રિવિધી સંપન્ન થઈ નહીં.
2010 માં પણ પત્રિવિધી માટે લખપત -દયાપરની કોર્ટમાં પણ સ્વ. પ્રાગમલજી ત્રીજા દ્વારા કરાઈ હતી અપીલ
સ્વ. મહારાવ પ્રગામલજી ત્રીજા ઓફ કચ્છ દ્વારા આ બાબતે નખત્રાણાની કોર્ટમાં યોગેન્દ્રસિંહ ગુરુ કરમશી રાજાબાવા વિરૂધ્ધ દાવો નોંધાવ્યો હતો. જે દાવામાં ત્યારબાદ હનુવંતસિંહ મદનસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જોરાવરસિંહ જાડેજા તથા દેવેન્દ્રસિંહ જોરાવરસિંહ જાડેજા પણ પ્રતિવાદી તરીકે પાછળથી દાખલ થયેલા. જે બાદ દયાપરની કોર્ટમાં આ દાવો તબદિલ થયો અને દયાપરની કોર્ટ દ્વારા 6 માર્ચ 2019 ના રોજ ચુકાદો આપ્યો અને આ ચુકાદા મુજબ સ્વ. મહારાવ પ્રગામલજી ત્રીજા ઓફ કચ્છ સ્વ. રાજવી મહારાવ મદનસિંહજીના મોટા પુત્ર તરીકે કરી શકશે તેવું ઠરાવ્યું હતું અને તેમની અનઉપસ્થિતિ કે, અસમર્થતતામાં આ પત્રિવિધી રાજવી કુળના વંશાનુક્રમે આવતી નજીકની વ્યકિત રાજ કુટુંબના મુખ્ય વ્યકિત સાથે રહીને કરી શકશે, તેવું ઠરાવ્યું તથા વધુમાં આવી વિધિ થાય તે બાબતે યોગેન્દ્રસિંહ ગુરુ કરમશી રાજાબાવા વિરૂદ્ધ મનાઈ હુકમ ફરમાવ્યો હતો.
સ્વ.મહારાવ પ્રાગમલજી ત્રીજા અવસાન પામતા તેમના વારસ તરીકે મહારાણી પ્રીતિદેવીએ દાખલ થવા અરજી કરી
આ હુકમના સંદર્ભમાં દયાપર કોર્ટે એવું ઠરાવ્યું હતું કે, અનઉપસ્થિતિ કે, અસમર્થતતામાં આ પત્રિવિધી રાજવી કુળના વંશાનુક્રમે આવતી નજીકની વ્યકિત રાજ કુટુંબના મુખ્ય વ્યકિત સાથે રહીને કરી શકશે. તેટલા પૂરતું હુકમ યોગ્ય ન હોતાં સ્વ.મહારાવ પ્રાગમલજી ત્રીજા દ્વારા ભુજની કોર્ટમાં અપીલ કરી અને આ જ હુકમને હનુવંતસિંહ મદનસિંહ જાડેજા દ્વારા પણ પડકારવામાં આવ્યો હતો. દયાપર કોર્ટના હુકમને બાકીના પક્ષકારોએ પડકાર્યો નહીં. જે બાદ હનુવંસિંહજી મદનસિંહ જાડેજા દ્વારા પોતે કરેલી અપીલ પાછી ખેંચી હતી. આ દરમ્યાન સ્વ.મહારાવ પ્રાગમલજી ત્રીજા ઓફ કચ્છ અવસાન પામતા તેમના વારસ તરીકે મહારાણી પ્રીતિદેવી ઓફ કચ્છએ દાખલ થવા અરજી કરી હતી, જે કોર્ટે મંજૂર કરી હતી.