- પીપળાતા આયુર્વેદિક હોસ્પિટલ દાતાઓના માતબર સહયોગથી શરૂ કરવામાં આવી હતી
- જિલ્લાના નાગરિકોને આયુર્વેદની સારવાર કરાવવા અપીલ
- સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે વેલનેસ સેન્ટરનો શુભારંભ
ખેડાઃ નડિયાદની સરકારી આયુર્વેદ હોસ્પિટલ, પીપળાતા ખાતે આજે શુક્રવારે વેલનેસ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સ્વ. મણીબેન ચંદુલાલ પટેલ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ 15 માર્ચ 1996ના રોજ દાતા જગદીશભાઇ અને મુકેશભાઇ પટેલના માતબર આર્થિક સહયોગથી શરૂ કરવામાં આવી હતી. આ હોસ્પિટલનો સરકારની સહાય દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે. આ હોસ્પિટલમાં શુક્રવારે વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
આયુર્વેદ હોસ્પિટલ ખાતે વેલનેસ સેન્ટરનો શુભારંભ આયુર્વેદ અતિ પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ
જિલ્લા આયુવેદ અધિકારી ડૉ.શેલીયાએ જણાવ્યું હતું કે, આયુર્વેદ અતિ પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે. આ ચિકિત્સા પદ્ધતિની આડ અસર નથી. તેમજ આ પદ્ધતિ દ્વારા રોગનો ઉપચાર કરવામાં આવે તો રોગને જળમૂળથી નાશ કરી શકાય છે. હાલના સમયમાં કોરોના વાઇરસની મહામારીમાં પણ આયુર્વેદ શાખાએ સારી સેવાઓ પુરી પાડી આ રોગને ખેડામાં પ્રસરાવતો અટકાવવામાં ખૂબ જ મદદ કરી છે. આ હોસ્પિટલમાં આયુર્વેદને લગતી તમામ પ્રકારની દવાઓ અને સેવાઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અહિયા હોમિયોપેથી સારવાર પણ કરવામાં આવે છે અને આજથી આ હોસ્પિટલમાં નિષ્ણાંત યોગ શિક્ષક દ્વારા યોગ દ્વારા સ્વસ્થ્ય જીવનની સારવાર પદ્ધતિને પણ શરૂ કરવામાં આવી છે.
નાગરિકોને આયુર્વેદની સારવાર કરાવવા અપીલ
ગત 5 વર્ષમાં આ હોસ્પિટલ દ્વારા ઓ.પી.ડીના 89,466 કેસ, આઇ.પી.ડીના 23,214 કેસ, પંચકર્મના કેસોમાં ઓ.પીડી.ના 95,245 કેસ તેમજ આઇ.પી.ડીના 69,587 કેસોમાં સારવાર આપવામાં આવી છે. વધુમાં ડૉક્ટરોએ ખેડા જિલ્લાના નાગરિકોને આયુર્વેદની સારવાર કરાવવા અપીલ કરી છે. આ પ્રસંગે દાતાઓએ ઉપસ્થિત રહીને આ હોસ્પિટલના વિકાસમાં સહયોગ આપવાની તત્પરતા દર્શાવી હતી, તેમજ જિલ્લા હિસાબી અધિકારી, તબીબો તેમજ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.