જૂનાગઢઃ સંસ્કૃતને દેવોની ભાષા તરીકે પણ સમગ્ર વિશ્વમાં માનવામાં આવે છે. સંસ્કૃત ભાષાને સમગ્ર વિશ્વની ભાષાઓની જનની પણ ગણવામાં આવે છે, ત્યારે આવી સંસ્કૃત ભાષા પ્રત્યે ગુજરાતમાં જે પ્રકારે સરકારનું ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે. જેને લઈને હવે સંસ્કૃતના વિદ્વાનો અને સંસ્કૃતનો અભ્યાસ કરાવતા આચાર્યોમાં રાજ્ય સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત પાઠશાળા બોર્ડ નામની વ્યવસ્થાને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ પ્રક્રિયા કાગળથી આગળ વધી નથી. જેને લઇને પણ સંસ્કૃતના આચાર્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં ખાટલે મોટી ખોટ સમાન જૂનાગઢમાં આવેલી જિલ્લાની એકમાત્ર સંસ્કૃત પાઠશાળાનું મકાન છે. જે આજે છેલ્લા પાંચ વર્ષથી જમીનદોસ્ત થયું છે, પરંતુ રાજ્ય સરકાર તેને ફરીથી ઉભું કરાવવામાં માટે તૈયારી દાખવી રહી નથી. જેથી સંસ્કૃતના આચાર્યો રોષે ભરાયા છે.