આ વર્ષનું ચોમાસુ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે ખૂબ જ ચિંતાજનક રહેશે તેવું લાગી રહ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જૂનાગઢ જિલ્લામાં સરેરાશ વરસાદ કરતાં ખૂબ વધુ વરસાદ પડયો છે. જેને કારણે ચોમાસું પાક ઉપર ભારે વરસાદની વિપરીત અસરો પણ પડી રહી છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ચોમાસા દરમિયાન સરેરાશ ૩૫થી ૪૦ ઇંચ જેટલો વરસાદ પડતો હોય છે. પરંતુ, આ વખતે આ વરસાદ ૬૦ ઇંચને પાર થઇ ગયો જેને કારણે ખેડૂતોને ખાસ કરીને મગફળીના પાકમાં ખૂબ જ મોટું અને વ્યાપક નુકસાન થવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે.
જૂનાગઢમાં કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકશાન - Peanuts crop damage
જૂનાગઢઃ મંગળવારના રોજ જૂનાગઢ શહેર અને તાલુકાના 20 કિલોમીટરના વિસ્તારમાં ધોધમાર બે ઈંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયાના અહેવાલો મળ્યા હતાં. જેમાં મગફળીનો તૈયાર પાક ખેતરમાં હતો તેવા સમયે ધોધમાર વરસાદ તૂટી પડતાં ખેડૂતોને પડ્યા પર પાટું સમાન આ વરસાદને કારણે ખુબ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ખેતરમાં તૈયાર પડેલો મગફળીનો પાક વરસાદના પાણીમાં પલળી જતા હવે ખેડૂતોને માથે હાથ દઇને રોવા સિવાય બીજો કોઇ વિકલ્પ બાકી નહીં રહેતા ખેડૂતો પણ ઘેરી ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.
કારતક મહિનામાં મગફળી બજારમાં આવવાના સમયે 'કયાર' નામના વાવાઝોડાએ જૂનાગઢ જિલ્લા પર આફત રૂપે વરસીને પાક પર જાણે કે વાવાઝોડાનું પાણી ફેરવી દીધું હોય તે પ્રકારે ખેડૂતોનો ઊભો પાક આજે નષ્ટ થવા તરફ આગળ વધી રહ્યો છે. જેને કારણે ખેડૂતો પણ ઘેરી ચિંતામાં ગરકાવ થયા છે. ચોમાસાના પ્રારંભમાં આ સમયે જે પ્રકારે સારા પાક અને સારા વરસાદની આશાઓ ખેડૂતો સેવી રહ્યા હતાં. તે જ ખેડૂતો હવે અતિવૃષ્ટિને કારણે તેનો મહામૂલો મગફળીનો પાક હવે સંપૂર્ણપણે નષ્ટ થઈ જતા ખેડૂતો પણ હવે ઘેરી ચિંતામાં ગરકાવ થતા જોવા મળી રહ્યા છે.