- વર્ષ 1935માં સ્થાપવામાં આવેલો અશોક શિલાલેખની પ્રતિકૃતિ તંત્રની ઉદાસીનતાને કારણે બની રહી છે જર્જરિત
- જૂનાગઢના નવાબે અશોક શિલાલેખની પ્રતિકૃતિ સચવાઈ રહે તે માટે કર્યા હતા પ્રયાસો
- હાલ પાજ નાકા વિસ્તારમાં શિલાલેખની કોપી જાડી જાખરોની વચ્ચે મળી રહી છે જોવા
જૂનાગઢ: અશોક શિલાલેખની પ્રતિકૃતિ ભવનાથના પાજ નાકા વિસ્તારમાં વર્ષ 1935 માં જૂનાગઢના નવાબ મહોબતખાન બીજા દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિકૃતિ આજે રાજ્યના પુરાતત્વ વિભાગની ઉદાસીનતાનો ભોગ બની રહી છે અહીં રક્ષિત સ્મારક હશે એવું અહીં આવતા પ્રવાસીઓને પણ માનવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. આવી પરિસ્થિતિમાં રક્ષિત સ્મારકોની જાળવણી જે તે વિભાગ કરે તેવી જૂનાગઢના લોકો માગ કરી રહ્યા છે.
શિલાલેખની પ્રતિકૃતિ આજે પણ ભારતના સાંસ્કૃતિક વારસાને જાળવી રહી છે
વર્ષ 1935માં જૂનાગઢના નવાબ દ્વારા અશોક શિલાલેખની પ્રતિકૃતિ બનાવીને તેને ભવનાથના પાજનાકા વિસ્તારમાં સ્થાપિત કરી હતી. વર્ષો પહેલા બનાવવામાં આવેલી શિલાલેખની પ્રતિકૃતિ આજે પણ ભારતના સાંસ્કૃતિક વારસાને જાળવી રહી છે પરંતુ પાછલા કેટલાય વર્ષોથી આ પ્રતિકૃતિની યોગ્ય જાળવણી નહીં થવાને કારણે તે હવે જર્જરિત બનવા તરફ આગળ વધી રહી છે. વર્ષ 2014માં તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે પૌરાણિક સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે પ્રયાસો કર્યા હતા, ત્યાર બાદ ફરી એક વખત આ પ્રતિકૃતિ તંત્રની ઉદાસીનતાનું ભોગ બની રહી છે. ભવનાથમાં લાખોની સંખ્યામાં યાત્રિકો અને પ્રવાસીઓ આવે છે પરંતુ આ પ્રતિકૃતિ અહીં સચવાયેલી છે. તેવું યાત્રિકોના ધ્યાન પર પણ આવતું નથી એટલી હદે તેની હાલત ખરાબ બની ચૂકી છે.
આ પણ વાચો:વડોદરા: શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારે કિલ્લો બનાવવાની પરંપરા જીવંત રાખી