ગાંધીનગરઃ કોરોના વાઇરસના આંકડા રાજ્યમાં સતત વધી રહ્યાં છે. જિલ્લા તંત્રને રાજ્યના તંત્ર વચ્ચે મોટી ખાઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. ચોવીસ કલાક પછી આપવામાં આવેલા આંકડામાં વિસંગતતાઓ સામે આવી રહી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અગ્ર સચિવ દ્વારા કહેવામાં આવે છે કે, તે જ પૂરી થયા બાદ તેમના અધિકારીઓ આંકડા આપશે, પરંતુ ત્યારબાદ અધિકારીઓ પર હાથ ખંખેરતા હોય તેવું જોવા મળી રહ્યું છે.
વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન દ્વારા સતત વિવિધ લાઈવ કોન્ફરન્સ કરવામાં આવે છે. દેશની જનતા સામે સાચું ચિત્ર રજૂ કરે છે, પરંતુ અધિકારીઓ તેમના કર્યા પર પાણી ફેરવતા હોય તેવું જોવા મળી રહ્યું છે. રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જયંતી રવિએ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 191 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ અમદાવાદમાં 169 કેસ નોંધાયા છે. અમદાવાદમાં દરિયાપુર, ઇસનપુર, ગોમતીપુર, વસ્ત્રાલ, મણિનગર, રખિયાલ, નારોલ, નિકોલ, બાપુનગર, કાલુપુર, ખાડિયા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વેજલપુર, થલતેજ, રાણીપ અને દાણીલીમડાનો સમાવેશ થાય છે.