ગાંધીનગર મહાનગરપાલિકામાં સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. જેમાં શાસક અને વિપક્ષ દ્વારા લોકપ્રશ્નોને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. સ્વચ્છતા, પીવા લાયક પાણી અને ભરતીના મુદ્દાને મહત્વની ચર્ચા કરાઈ હતી. તે દરમિયાન ભરતીના મુદ્દાને લઈને સભાનો માહોલ ગરમાયો હતો. પરીણામે સભાને રદ્દ કરવામાં આવી હતી.
- સભામાં કોર્પોરેટરે રજૂ કરેલાં લોકપ્રશ્નોની ટૂંકી જાણકારી
કોંગી કોર્પોરેટર હસમુખ મકવાણાએ સામાન્ય સભામાં ગાંધીનગરની જનતાની સુખાકારી માટેના પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમણે શાસક પક્ષને કહ્યું કે, ગટર અને પાણીની સમસ્યાને ઝડપથી દૂર કરવી જોઈએ. રાજ્ય સરકાર જો તમારી સાંભળતી ના હોય તો દિલ્હી સુધી રજૂઆત કરવા પણ તૈયાર છીએ. દિલ્હી સરકારમાં સ્વખર્ચે જવા તૈયાર છીએ. ગાંધીનગરની જનતાને સુખાકારી માટે તૈયાર ના હોય તો આપણે પાલિકાને તાળા મારી દેવા જોઈએ.
વિપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ સ્માર્ટ સિટીની વાતો કરતા મહાપાલિકાના સત્તાધીશોની આકરા શબ્દોમાં ઝાટકણી કરી હતી. તેમણે કહ્યું કે, ગાંધીનગર શહેરમાં પીવાના પાણી માટે સ્માર્ટ વોટર એટીએમ મૂકવામાં આવ્યા છે. પરંતુ આ વોટર ATM હાલમાં શોભાના ગાંઠિયા સમાન થઈ ગયા છે. એક પણ એટીએમ કાર્યરત નથી. વારંવાર દબાણની ટીમ લઇને હપ્તા ઉઘરાવવા પહોંચી જતાં હતા.
ગાંધીનગરનું પાણી પીવા લાયક નથી તેવા રિપોર્ટ આવ્યા બાદ વિપક્ષી નેતાએ કહ્યું હતું કે, "અગાઉ જ્યારે ડહોળું પાણી આવતું હતું ત્યારે પણ વિપક્ષ દ્વારા ગાંધીનગરના નાગરિકોની ચિંતા કરવામાં આવી હતી. પરંતુ ત્યારે એવો જવાબ આપ્યો હતો કે, ગાંધીનગરનું પાણી પીવાલાયક જ છે. આ સવાલ ફરીથી ઉઠતાં મેયરે મૌન સેવી લીધું હતું. ખાનગી રહેણાંક વિસ્તારમાં અને ધારાસભ્યોના બંગલાઓમાં હૉસ્ટેલો ચલાવવામાં આવી રહી છે. ત્યાં દબાણ દૂર કરવામાં આવતું નથી. પરંતુ નાના ઝુંપડાને દૂર કરવામાં આવે છે તેને લઈને પણ વિપક્ષે આકરા તેવર બતાવ્યા હતા."