ગુજરાત

gujarat

ETV Bharat / state

પેથાપુર પોલીસે ઢબુડી માતાના ચાંદખેડા સ્થિત મકાનનો ભાડા કરાર જપ્ત કર્યો

ગાંધીનગરઃ ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા સામે થયેલી અરજી મુદ્દે સોમવારે પેથાપુર પોલીસ ચાંદખેડામાં પહોંચી હતી. ધનજીના નિવાસસ્થાને નોટીસ ચોંટાડ્યાના બે દિવસ બાદ પણ કોઈ જવાબ ન આવતા પોલીસે ચાંદખેડા અને રૂપાલ ગામમાં તપાસ શરૂ કરી હતી. પોલીસે ધનજી ઓડના ભાડાના મકાન માલિકનું નિવેદન લઈ ભાડા કરાર પણ કબ્જે લીધો હતો. હવે જો ધનજી ઓડને આપેલ નોટીસનો જવાબ નહીં આપે તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

By

Published : Sep 2, 2019, 10:40 PM IST

ફાઇલ ફોટો

પેથાપુર પોલીસની ટીમ ચાંદખેડામાં દિપકુંજ બંગ્લોઝના મકાન નંબર-20 ખાતે તપાસ અર્થે પહોંચી હતી. ત્યારે ઢબુડી માતા વિશે મકાન માલિકે જણાવ્યું હતું કે, તેમના મકાનમાં ઢબુડી માતા જ રહેતાં હતા તે વાતની તેમને ખબર જ ન હતી. મકાન પોતાના સેવક મારફતે ધનજી ઓડે ભાડે રાખ્યું હતું. જેમાં મકાન માલિકને ધાર્મિક પૂજા-વિધી કરતાં હોવાનું કહેવામાં આવ્યું હતું.

બીજી તરફ પેથાપુર પોલીસ ઢબુડી માતાના મૂળ નિવાસસ્થાન અને સ્થાનક એવા રૂપાલ ગામે પણ પહોંચી હતી. પોલીસે ગામમાં ધનજી ઓડની આસપાસ રહેતાં લોકોની પૂછપરછ કરીને જરૂરી વિગતો મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, બોટાદના ગઢડા સ્વામી નાગજીપરાના ભીખાભાઈ માણીયાએ પોતાની અરજીમાં દાવો કર્યો છે કે, ઢબુડી માતાના કહેવાથી પુત્રની કેન્સરની દવા બંધ કરતાં તેમણે પુત્ર ગુમાવ્યો હતો. જે મુદ્દે પુછપરછ માટે પોલીસે વિવાદોમાં સંપડાયેલા ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાને પુછપરછ માટે નોટીસ પાઠવી છે. બીજી તરફ ધનજી ઓડે પણ આ કેસમાં ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી છે.

ABOUT THE AUTHOR

...view details