ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં પાલનપુર બ્રિજ અને હાર્ટ એટેક સિવાય ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ અને ગુજરાતની અલગ અલગ કોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં ચાલતા સરકારના કેસોની પરિસ્થિતિ બાબતે જે નવું પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારના પ્રધાન કનુ દેસાઈએ જાહેરાત કરી હતી કે ગુજરાતમાં સાર્વજનિક ટ્રસ્ટની મિલકતના વેચાણ અને ભાડા પટ્ટાની કાર્યવાહી હવેથી ઓનલાઈન ઓપ્શન પોર્ટલ મારફતે હાથ ધરવામાં આવશે.
'અત્યાર સુધી કલમ 36 હેઠળ ટ્રસ્ટની મિલકત તબદીલ કરવાની કાર્યવાહી મેન્યુઅલ રીતે કરવામાં આવતી હતી. જેના કારણે ઇજારાશાહી વધવાની શક્યતાઓ રહેતી હતી. પરંતુ આ નવા સુધારાથી હવે ટ્રસ્ટની મિલકત તબદીલ કરવાની આ કાર્યવાહી વધુ પારદર્શક પદ્ધતિથી થાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલકતનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવશે. ટ્રસ્ટની મિલકતના વેચાણ અને ભાડાપટ્ટા અંગેની કાર્યવાહી હવેથી ઓનલાઇન ઇ-ઑક્શન પોર્ટલ મારફત હાથ ધરવામાં આવશે.' - કનુ દેસાઈ, પ્રવક્તા પ્રધાન
'આ ઉપરાંત ટ્રસ્ટની મિલકત અદલા-બદલી કરવા માટે ટ્રસ્ટો દ્વારા અદલા-બદલી કરવા ધારેલી બંને મિલકતની કિંમતની સરખામણી કરી, ખૂટતી રકમ સરભર કર્યેથી જ અદલા-બદલીની મંજૂરી આપવામાં આવશે. અત્યાર સુધી ટ્રસ્ટની મિલકત વેચાણ અને ભાડાપટ્ટા અંગેની કાર્યવાહી હાથ ધરતાં પહેલાં મિલકતની અપસેટ વેલ્યુ નક્કી કરવા માટે જંત્રી, ગવર્મેન્ટ એપ્રૂવડ વેલ્યુઅરનો રિપોર્ટ તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળનો અંદાજિત વેચાણ કિંમતનો ઠરાવ ધ્યાને લઇ અપસેટ વેલ્યુ નિયત કરવામાં આવતી હતી. આ પ્રક્રિયામાં પણ સુધારો કરવામાં આવ્યો છે. હવેથી ટ્રસ્ટની કોઈપણ મિલકતની અપસેટ વેલ્યુ નક્કી કરવા માટે સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઠરાવવામાં આવેલ "જિલ્લા કક્ષાની વેલ્યુએશન સમિતિ" દ્વારા મિલકતની કિંમત નિયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.' - કનુ દેસાઈ, પ્રવક્તા પ્રધાન