- આયુર્વેદિક હોમિયોપેથી કોલેજમાં હાલ 100 ટકા ગુજરાતી વિદ્યાર્થીઓને જ પ્રવેશ
- રાજયમાં આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોમાં પ્રવેશ માટે હવે 15 ટકા બેઠકો નેશનલ કોટાથી ભરાશે
- રાષ્ટ્રના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા અન્ય રાજયોના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળશે
ગાંધીનગર :રાજ્યની આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોમાં પ્રવેશ માટે હવે 15 ટકા બેઠકો નેશનલ કોટાથી ભરવામાં આવશે. વિધાનસભામાં તેનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. ગુજરાત વ્યાવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ સુધારા વિધેયક રજૂ કરતાં નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે, રાજ્યમાં આયુર્વેદિક હોમિયોપેથી કોલેજમાં હાલ 100 ટકા ગુજરાતી વિદ્યાર્થીઓને જ મેરીટના ધોરણે આ કોલેજોમાં પ્રવેશ આપવામાં આવે છે. આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજોમાં 15 ટકા બેઠકો પર નેશનલ કોટાથી ભરવાનો નિયમ લાગુ કર્યો છે.
2,340 બેઠકો તથા હોમિયોપેથીની 35 કોલેજો કાર્યરત
રાજ્યમાં હાલ આયુર્વેદિકની 30 કોલેજો કાર્યરત છે. તેમાં 2,340 બેઠકો તથા હોમિયોપેથીની 35 કોલેજો કાર્યરત છે. જેમાં 3,589 બેઠકો ઉપલબ્ધ છે. આ બંન્ને કોલેજોની મળી કુલ 5,929 બેઠકો ઉપર 15% નેશનલ કોટા મુજબ 889 બેઠકો પર મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે. જેમા રાષ્ટ્રના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા અન્ય રાજયોના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળશે.
આ પણ વાંચો : રાજ્યની મોડલ આયુર્વેદિક કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે લગ્નની ઓફર કરી
હાઈકોર્ટના નિવૃત્ત જજના અધ્યક્ષ સ્થાને જે ફી નિર્ધારણ કમીટીની રચના કરાઈ
ફી નિયત કરવા માટે હાઈકોર્ટના નિવૃત્ત જજના અધ્યક્ષ સ્થાને જે ફી નિર્ધારણ કમીટીની રચના કરાઈ છે, તે કમિટી જ ફી નક્કી કરશે. એ મુજબ ફી નિયત કરાશે. નીતિન પટેલે કહ્યું કે, ગુજરાત વ્યાવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ બાબત અધિનિયમથી, વ્યાવસાયિક શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓમાં પ્રવેશ આપવાના હેતુ માટે, બિનસહાયિત કોલેજો અથવા સંસ્થાઓમાં કુલ મંજૂર થયેલી બેઠકોની 75% સરકારી બેઠકો અને 25% સંચાલક મંડળની બેઠકો માટે જોગવાઈ કરી છે. જેમાં 15% બિન-નિવાસી ભારતીયો માટેની બેઠકોનો સમાવેશ થાય છે.