નીતિનભાઈ 14 ધારાસભ્ય લઈને આવે તો CM બનાવીએ: વિરજી ઠુંમ્મર - Gandhinagar latest news
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઇ પટેલે એક સામાજિક સંમેલનમાં "હું એકલો પડી ગયો છું" તેવું નિવેદન આપ્યા બાદ વિધાનસભાગૃહમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
ગાંધીનગરઃ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે આ બાબતે ગૃહમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને કહ્યું કે, તમે એકલા પડી ગયા નથી અમે તમારી સાથે છીએ. તેમએ કહ્યું કે, શ્રીરામના નકલી ભક્તો ગુજરાત વિધાનસભામાં બેઠા છે. ગાયના નામે રાજકારણ કરવામાં આવે છે. રાજ્યમાં એક લાખ કિલો ગૌમાંસ પકડાયું છે. જેમાં 55 હજાર કિલો ગૌમાંસ માત્ર સુરતથી જ પકડાયું છે. સાડા ત્રણસો ગાયને કતલખાને લઈ જતી પકડવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે. રાજયના DG, અને પોલીસને ખબર ન હોય તેવું ન બને. 10 હજાર જેટલા દારૂ જુગારના અડ્ડા ચાલી રહ્યાંની ફરીયાદ કરવામાં આવી છે. ગુજરાતમાં દરરોજ હત્યાના ત્રણ અને દુષ્કર્મની ચારથી પાંચ ઘટના બને છે. જે બતાવે છે કે, રાજ્યમાં પોલીસ અને સત્તાધીશોની સાંઠગાંઠ સિવાય આ શક્ય બને નહીં. દારૂ જુગારના અડ્ડાઓની અને ગેરકાયદે ચાલતાં કતલખાની લાખો કરોડો રૂપિયાની આવકા ધારાસભ્યો, પોલીસ અને દિલ્હીમાં બેઠેલા બે ભાઈઓ સુધી જતી હોવી જોઈએ તેવું મારું માનવું છે.
કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મરે કહ્યું કે, નીતિનભાઈ પર કામનો બોજો ઘણો વધારે છે. નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં ખાતું હોવાના કારણે તેઓ સરકારનું સંચાલન કરે છે, ત્યારે હું નીતિનભાઈને કહેવા માગુ છું કે, નીતિનભાઈ તમે એકલા નથી. તમે 14 ધારાસભ્ય લઈને આવો અમે તમને મુખ્ય પ્રધાન બનાવીશું. જેને લઇને અમે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી રાહુલ ગાંધી સાથે પણ ચર્ચા કરીશું. ભાજપમાં ભલે તમારી કદર ન થતી હોય પરંતુ કોંગ્રેસ ચોક્કસ તમને મુખ્ય પ્રધાન બનાવશે.