ગાંધીનગર : નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો એનસીઆરબી રીપોર્ટમાં દ્વારા ગુજરાતમાં 40,000 થી વધુ મહિલાઓ છેલ્લા પાંચ વર્ષમાં ગુમ થઈ હોવાનો મુદ્દો ચર્ચામાં છે. કેન્દ્ર સરકારના ચોપડે આ આંકડો નોંધાયો છે ત્યારે ગુજરાત પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થયા હતાં. તેવામાં ગુજરાત પોલીસે ત્વરિત એક્શન રુપે મહિલાઓ બાબતે ખાસ સોશિયલ મીડિયા મારફતે સ્થિતિ પર પ્રકાશ પાડી દીધો હતો. ઈટીવી ભારત સાથેની વાતચીતમાં ગુજરાતના લો એન્ડ ઓર્ડર એડીજીપી નરસિમ્હા કોમરે જણાવ્યું હતું કે ગુજરાતમાં ગુમ થયેલી મહિલાઓ સંદર્ભે ગુજરાત પોલીસે કામગીરી કરી છે જેને પગલે 95 ટકા મહિલાઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે.
મીસિંગ કેસ બાબતે શું કહ્યું? ગુજરાત રાજ્યના કાયદો વ્યવસ્થાના એડિશનલ ડિરેકટર જનરલ ઓફ પોલીસ -એડીજીપી નરસિમ્હા કોમર ઈટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા મિસિંગ વ્યક્તિઓના ડેટા વર્ષ 2016થી વર્ષ 2020 સુધીના જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 41,621 મહિલાઓ ગુજરાતમાં મિસિંગ થઈ હતી. પરંતુ આ જ ડેટામાં હકીકત એ છે 39,479 જેટલી મહિલાઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે એટલે કે 95 ટકા મહિલાઓને પરિવાર પાસે પરત લાવવામાં સ્થાનિક પોલીસ સફળ રહી છે.
મહિલાઓના ગુમ થવાને લઇને નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓને લઇ ગુજરાત પોલીસની સફળ કામગીરી રહી છે. ગુમ થયેલી મહિલાઓની ફરિયાદ ગમે તેટલી હોય ગુજરાત પોલીસનો હંમેશા પ્રયાસ એવો હોય છે કે જેટલી પણ મહિલાઓ મિસિંગ છે તે બાબતે ફરિયાદ દાખલ થાય અને ક્વીક રિસ્પોન્સ આપવામાં આવે. મહિલાનું તથા તેની આસપાસના કોન્ટેક્ટ ડીટેલ ઇન્વેસ્ટિગેશન થાય અને પરિવાર સાથે પરત આવે તે માટે પોલીસ હંમેશા કાર્યરત હોય છે. જેને પગલે 95 ટકા મહિલાઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે...નરસિમ્હા કોમર (એડિશનલ ડિરેકટર જનરલ ઓફ પોલીસ એડીજીપી)
મહિલાઓના ગુમ થવાના કારણો કયા હોય છે? મહિલાઓના મિસિંગ બાબતે એડીજીપી નરસિમ્હા કોમરે ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહિલાઓ ગુમ થયા બાબતમાં અનેક કારણો સામે આવ્યા છે, જેમાં શાળાએ જતી બાળકીઓ પરીક્ષામાં નપાસ થાય અને ડિપ્રેશનમાં સરી પડે તેવી પરિસ્થિતિમાં, પ્રેમ લગ્નમાં પરિવાર સાથ ન આપે, ડોમેસ્ટિક વાયોલેન્સ, ફેમિલી કંકાસ, માઇગ્રેશનનું કારણ પણ સામે આવ્યું છે. ગુજરાત પોલીસનો હંમેશા પ્રયાસ એવો હોય છે કે જેટલી પણ મહિલાઓ મિસિંગ છે તે બાબતે ફરિયાદ દાખલ થાય અને ક્વીક રિસ્પોન્સ આપવામાં આવે. મહિલાનું તથા તેની આસપાસના કોન્ટેક્ટ ડીટેલ ઇન્વેસ્ટિગેશન થાય અને પરિવાર સાથે પરત આવે તે માટે પોલીસ હંમેશા કાર્યરત હોય છે.