ગાંધીનગર : ગાંધીનગરની ફૂડ ટીમ દ્વારા ઊંઝા ખાતે 2.14 લાખથી વધુની કિંમતનો 3,680 કિ.ગ્રામ. બનાવટી જીરુંનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. ત્યારે સરકારના કર્મી દ્વારા અવારનવાર ભેળસેળ કરતા ખાદ્ય ચીજવસ્તુઓનો પદાફાશ થાય છે. ત્યારે ગાંંધીનગરની ફૂડ ટીમ ઊંઝા ખાતે તપાસ કરતા બનાવટી જીરું કેટલાક સેમ્પલ લેવાયા છે.
Unjha Fake Cumin : ઊંઝામાંથી 2 લાખથી વધુનું બનાવટી જીરુંનો જથ્થો જપ્ત - ગાંધીનગરની ફૂડ ટીમ ઊંઝામાં તપાસ
ઊંઝા ખાતેથી 2 લાખથી વધુની કિંમતનો બનાવટી જીરુંનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગાંધીનગરની ફૂડ ટીમ દ્વારા ઊંઝા તપાસ કર્યા બાદ કેટલાક નમૂનાઓ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. તપાસ સ્થળ પરથી ગોળની રસી, બ્રાઉન પાઉડર, ઝીણી વરીયાળી સહિતનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે.
![Unjha Fake Cumin : ઊંઝામાંથી 2 લાખથી વધુનું બનાવટી જીરુંનો જથ્થો જપ્ત Unjha Fake Cumin : ઊંઝામાંથી 2 લાખથી વધુનું બનાવટી જીરુંનો જથ્થો જપ્ત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-06-2023/1200-675-18851921-thumbnail-16x9-n.jpg)
ગાંધીનગરની ફૂડ ટીમ દ્વારા બનાવટી જીરું અંગે ઊંઝામાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં કૌભાંડ આચરનાર મહેન્દ્ર પટેલ વેપારી, મકતુપુર- સુણોક રોડ, મુ-મકતુપુર, ઊંઝાની પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ પર બનાવટી જીરાનું ઉત્પાદન થતું જોવા મળ્યું હતું. આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા ઝીણી વરિયાળીમાં બ્રાઉન પાઉડર અને ગોળની રસી ભેગી કરી બનાવટી જીરું બનાવતા હોવાનું જાણવા મળ્યું હતું, જે જીરામાં ભેળસેળ કર્યાનું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળ્યું છે. તપાસ દરમિયાન સ્થળ પર ગોળની રસીનો 100 લીટર જથ્થો, બ્રાઉન પાઉડરનો 350 કિલોગ્રામ જથ્થો, ઝીણી વરીયાળીનો 630 કિલોગ્રામ જથ્થો અને બનાવટી જીરાનો 2700 કિલોગ્રામ જથ્થો ટીમ દ્વારા સ્થળ પર જ હાજર સ્ટોકમાં પકડી પાડવામાં આવ્યો છે. - એચ. જી કોશિયા (ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર)
3,680 કિલોગ્રામનો જથ્થો : કોશિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સ્થળ પરથી જીરું-01, ગોળની રસી (એડલટ્રન્ટ)01, બ્રાઉન પાઉડર (એડલટ્રન્ટ)01 અને ઝીણી વરિયાળી(એડલટ્રન્ટ)01 મળીને કુલ-04 કાયદેસરના નમૂનાઓ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. ગોળની રસીના જથ્થાનો સ્થળ પર જ વેપારી દ્વારા સ્વેચ્છાએ નાશ કરવામાં આવ્યો હતો. બાકીનું બનાવટી જીરું, બ્રાઉન પાઉડર અને ઝીણી વરિયાળીનો કુલ 3,680 કિલોગ્રામનો જથ્થો કે જેની કિંમત 2,14,150 થવા જાય છે તે જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. વધુમાં આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોય તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે તેમ જાણવા મળ્યું છે.