- રાજ્યમાં ધોરણ 9 અને 11ના વર્ગો 1 ફેબ્રુઆરીથી થશે શરૂ
- કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય
- ખાનગી ટ્યૂશન પણ થશે 1 ફેબ્રુઆરીથી શરૂ
ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં શાળા અને કોલેજ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ ખાનગી ટ્યૂશન પણ શરૂ કરી શકાશે.
કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય
શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બુધવારે શાળાના વર્ગો શરૂ કરવા બાબતે જણાવ્યું હતું કે, આજની કેબિનેટ બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે ચર્ચા કર્યા બાદ ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે ગાઇડલાઇન છે, તે ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને જ વર્ગો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા 8 ફેબ્રુઆરીના રોજ જે ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે, તેનું પણ અમલ કરવામાં આવશે.
1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ થશે વિદ્યાર્થીઓ અને વાલીઓએ નિર્ણય આવકાર્યો
શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વધુમાં જણાવ્યું હતું કે, 11મી જાન્યુઆરીના રોજ ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જે બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓનો સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વાલીઓ દ્વારા પણ સંમતિ પત્ર આપવામાં આવ્યા છે. હવે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ત્યારે આ પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે.
ખાનગી ટ્યૂશન પણ શરૂ કરી શકાશે
કોરોના કાળ દરમિયાન રાજ્ય સરકારે તમામ શાળાઓ કોલેજો અને ખાનગી ટ્યૂશન વર્ગો પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે જેમ જેમ લોકડાઉનમાં અનેક વ્યાપાર ધંધા રોજગાર ખોલવામાં આવ્યા હતા, પરંતુ ખાનગી ટ્યૂશન બંધ જ રાખવામાં આવ્યા હતા. ત્યારે અનેક વખત ખાનગી ટ્યૂશન સંચાલકોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પણ આપ્યા હતા. ત્યારે બુધવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાજેતરમાં મળેલી બેઠકમાં ખાનગી ટ્યૂશન વર્ગો પણ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ ખાનગી ટ્યૂશનના વર્ગો ફક્ત ધોરણ 9થી 12 સુધીના જ શરૂ કરી શકાશે. આ ઉપરાંત રાજ્ય સરકારની કોરોના ગાઇડલાઇન ફરજિયાતપણે ખાનગી ટ્યૂશન સંચાલકોએ અનુસરવી પડશે. જો કોઈપણ ટ્યૂશન સંચાલક નહીં અનુસરે તો તેમના વિરુદ્ધ પગલા લેવામાં આવશે. આ માટે અલગથી ખાસ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે.
કોલેજના પ્રથમ અને બીજા વર્ષના વર્ગ શરૂ કરવા સમીક્ષા કરવામાં આવશે
ધોરણ 9થી 12ના વર્ગો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવાની જાહેરાત કરી છે, પરંતુ કોલેજના પ્રથમ વર્ષ અને બીજા વર્ષ ક્યારે શરૂ થશે, તે બાબતે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સમરસ હોસ્ટેલમાં અનેક વિદ્યાર્થીઓ બહારથી આવીને અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે કોરોના કાળમાં સમરસ હોસ્ટેલમાં કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી, ત્યારે હવે આ તમામ જગ્યા પર શિક્ષણ સચિવ અને આરોગ્યના અધિકારીઓ સ્થળ પરીક્ષણ કર્યા બાદ જે રિપોર્ટ આપવામાં આવે તે રિપોર્ટને ધ્યાનમાં રાખીને કોલેજના પ્રથમ અને બીજા વર્ષના વર્ગો શરૂ કરવામાં આવશે.