ગુજરાત

gujarat

દ્વારકામાં RSPL ઘડી કંપની વિરૂદ્ધ ખેડૂતોનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો

By

Published : Dec 26, 2020, 9:38 AM IST

Updated : Dec 26, 2020, 12:37 PM IST

દ્વારકા કુરંગા સ્થિત આવેલી RSPL ઘડી કંપની વિરુદ્ધ ખેડૂતો ખેતરે જવાના રસ્તા અને પ્રદુષણ મામલે ન્યાયની માગ કરી રહ્યા છે. ખેડૂતોએ રસ્તા મામલે મામલતદારના હુકમ સામે પ્રાંત કચેરી દ્વારકા ખાતે રિવિઝન અરજી કરેલ હતી, જે પ્રાંત અધિકારીએ નામંજૂર કરતા ખેડૂતોમાં ભારે રોષ છે.

Dwarka News
RSPL ઘડી કંપની વિરૂદ્ધ ખેડૂતોનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો

  • ખેતરોમાં દૂષિત પાણી છોડવા મામલે ખેડૂતોએ અનેક વખત પ્રદુષણ બોર્ડને ફરિયાદો કરી
  • ખેડૂતોની આશરે 300 વીઘા જેટલી જમીન આવેલી છે
  • ખેડૂતોના ખેતરોની દશા બગડી છે

દેવભૂમિ દ્વારકાઃ કુરંગા સ્થિત આવેલી RSPL ઘડી કંપની વિરુદ્ધ ખેડૂતો ખેતરે જવાના રસ્તા અને પ્રદુષણ મામલે ન્યાયની માગ કરી રહ્યા છે. ખેડૂતોએ રસ્તા મામલે મામલતદારના હુકમ સામે પ્રાંત કચેરી દ્વારકા ખાતે રિવિઝન અરજી કરેલ હતી, જે પ્રાંત અધિકારીએ નામંજૂર કરતા ખેડૂતોમાં ભારે રોષ છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે, આંતરિક રસ્તા અને રાજમાર્ગ અબાધિત હક્ક હોવા છતાં નીતિ નિયમો નેવે મૂકી આ અરજી ફગાવી દેવામાં આવી છે. ખેડૂતોનો હક્ક છે તે મળતો નથી. કંપની એનકેન પ્રકારે ખેડૂતોને દબાવી રહી છે અને ખેતરે જવામાં મુશ્કેલી ઉભી કરી રહી છે.

ખેડૂતોનો RSPL કંપની વિરૂદ્ધ રોષ

RSPL ઘડી કંપની કુરંગા ખાતે સોડાએશ પ્લાન્ટનું નિર્માણ કરી રહી છે. કંપનીની હદમાં ખેડૂતોની માલિકીની જમીન આવેલી છે, જ્યાં ખેડૂતોને જવામાં ભારે મુશ્કેલી કંપની દ્વારા આપવામાં આવી રહી છે. કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં પ્રદુષિત પાણી છોડવામાં આવતું હોવાથી ખેતરોમાં ખેતી થઈ શકે તેવું રહ્યું નથી. ખેતરોમાં દૂષિત પાણી છોડવા મામલે ખેડૂતોએ અનેક વખત પ્રદુષણ બોર્ડને ફરિયાદો કરી છતાં પ્રદુષણ બોર્ડના અધિકારીઓ કંપની સામે પગલાં લેવામાં ખચકાટ અનુભવી રહ્યા હોય તેવો ઘાટ ઘડાય રહ્યો છે.

RSPL ઘડી કંપની વિરૂદ્ધ ખેડૂતોનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો

અધિકારીઓની કામગીરી પણ શંકાના દાયરામાં

કંપની અતિ દૂષિત પાણી છોડતી હોવાથી ખેતરો બંજર બન્યા છે. લોકશાહીમાં દરેક નાગરિકને પોતાનો હક્ક મળવો જોઈએ, પરંતુ RSPL કંપનીની સામે જાણે અધિકારીઓ પણ પગલાં લેવામાં શરમ અનુભવતા હોય તેવું લાગી રહ્યું છે. અનેક રજૂઆતો છતાં પગલાં ન લેવાતા અધિકારીઓની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે. હાલ તો ખેડૂતો તંત્ર પાસે ન્યાયની માગ કરી રહયા છે. RSPL ઘડી કંપનીની હદમાં ખેડૂતોની આશરે 300 વીઘા જેટલી જમીન આવેલી છે. જેમાં છેલ્લાં ચાર વર્ષથી ખેડૂતો પોતાના રસ્તા અને પ્રદુષણ મામલે લડત આપી રહ્યા છે.

ઘડી સામે પ્રદુષણ મામલે ન્યાયની માગ

આ સમગ્ર મામલે અમે પ્રાંત અધિકારીનો અભિપ્રાય જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો, જેમાં અધિકારીએ આ મામલે ખેડૂતો આ હુકમથી નાખુશ હોય તો હાઇકોર્ટમાં જઈ શકે તેવું જણાવ્યું હતું અને રસ્તાઓ ખુલ્લા હોવાનું જણાવ્યું હતું, પરંતુ રિયાલિટી ચેક કરતા ખબર પડી કે, રસ્તાઓ તો ઠીક પણ ખેડૂતોના ખેતરોની દશા બગડી છે. ખેડૂતોના ખેતર ફરતે કંપનીએ બાઉન્ડરી વોલ ઉભી કરી દીધી છે ત્યાંજ સ્થિતિ સ્પષ્ટ થાય છે કે કંપની કેટલી હદે ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે. રસ્તાઓ રહ્યા નથી અને પ્રદુષિત પાણી બેફામ ખેતરોમાં પડ્યું છે પણ વાસ્તવિક સ્થિતિ જાણવા અધિકારીઓને જાણે રસ ન હોય તેવું લાગી રહ્યું છે.

Last Updated : Dec 26, 2020, 12:37 PM IST

ABOUT THE AUTHOR

...view details