ગુજરાત

gujarat

By

Published : Jul 16, 2020, 6:46 PM IST

ETV Bharat / state

ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા ઔષધીય પાક એવી સફેદ મૂસળીનુ વાવેતર કરાવાયું

કોરોનાના કહેરને પગલે લાગુ કરાયેલા લોકડાઉનના કારણે ડાંગ જિલ્લાના ખેડૂતોને ઘર આંગણે રોજગારી મળી રહે તે માટે ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા ઔષધીય પાક સફેદ મૂસળીનું વાવેતર કરાવવામાં આવી રહ્યું છે.

ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા  ઔષધીય પાક એવી સફેદ મૂસળીનુ વાવેતર કરાયું
ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા ઔષધીય પાક એવી સફેદ મૂસળીનુ વાવેતર કરાયું

ડાંગ: કોરોનાના કહેરને પગલે લાગુ કરાયેલા લોકડાઉનના સમયમાં પણ ડાંગ જિલ્લાના ખેડૂતોને ઘરઆંગણે જ રોજગારી મળી રહે, તે માટે ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા પીપલાઈદેવી ક્લસ્ટરમા મોટે પાયે ઔષધીય પાક એવી સફેદ મુસળીનું વાવેતર કરાવીને, સ્થાનિક ખેડૂતોની આજીવિકામાં વધારો કરવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે.

ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક અગ્નિસ્વર વ્યાસના જણાવ્યા અનુસાર તેમના કાર્ય વિસ્તારના પીપલાઈદેવી ક્લસ્ટરમાં વન સમિતિ સાથે સંકળાયેલા ખેડૂતોને સફેદ મુસળીનુ બીયારણ પૂરું પાડવામાં આવ્યું છે. સને 2020/21ના વર્ષ દરમિયાન આ વિસ્તારના કુલ 10 ગામોના 133 ખેડૂતોને 1,110 કિલોગ્રામ બિયારણ પૂરું પાડી, આ ઔષધીય પાકની ખેતપદ્ધતિ અંગે સમજ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. પાક તૈયાર થતા આ ખેડૂતોને અંદાજીત 3, 330 કિલોગ્રામ ઉત્પાદન મળવાની સંભાવના પણ વ્યાસે વ્યક્ત કરી છે.

ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા ઔષધીય પાક એવી સફેદ મૂસળીનુ વાવેતર કરાયું
આ અગાઉ સને 2019/20માં વન વિભાગ દ્વારા 36 ગામોના 324 ખેડૂતોને 3000 કિલોગ્રામ બીયારણનું વિતરણ કરાયું હતું. જેમાંથી તેમને 8, 279 કિલોગ્રામ સફેદ મુસળીનું ઉત્પાદન મળ્યું હતું. સફેદ મુસળીની માગ અને તેનું બજાર જોતા અહીના ખેડૂતોને ઘર આંગણે જ આજીવિકા મળવા સાથે, તેમનું સ્થળાંતર અને જંગલ ઉપરનું ભારણ પણ ઘટાડી શકાયુ છે, તેમ વ્યાસે વધુમાં જણાવ્યું હતું.ડાંગ જિલ્લોએ ઓર્ગેનિક જિલ્લો છે. અહી વન ઔષધીઓનો ખજાનો ભર્યો પડ્યો છે. સદીઓથી ડાંગના લોકો આ વન ઔષધીઓનો ઉપયોગ કરતા આવ્યા છે. નવી પેઢી પણ આ પરંપરા આગળ વધારી રહી છે. જેને કારણે ગામડાના લોકો હજી પણ દવાખાના કે મેડીકલ સ્ટોરનો સીમિત ઉપયોગ કરતા હોય છે. વર્તમાન સમયે પણ લોકો દવાખાનાથી દુર રહેવાનું પસંદ કરે છે. કુદરતી જીવન જીવતા ડાંગીજનો 95થી 100 વર્ષનું નિરામય જીવન પ્રકૃતિના ખોળે રહીને વ્યતીત કરી શકે છે.સફેદ મુસળીએ પોષ્ટિક તત્વોનો ભંડાર કહેવાય છે. અહીના લોકો તેની ભાજીનો પણ તેમના રોજીંદા ખોરાકમાં ઉપયોગ કરતા હોય છે. મુસળી અને મુસળી પાવડરનો વિવિધ શક્તિવર્ધક દવાઓ તથા ફાર્મા કંપનીઓમાં પણ મોટે પાયે ઉપયોગ થાય છે. ઇન્દોર અને પુના જેવા શહેરોમાં તેનું ખુબ મોટું બજાર જોવા મળે છે. ભારતભરમાં ભારે માગ ધરાવતી સફેદ મૂસળીના ઉત્પાદનથી ડાંગ જિલ્લાના ખેડૂતો બે પાંદડે થાય, તેવો વન વિભાગનો પ્રયાસ છે, તેમ પણ અગ્નિસ્વર વ્યાસે વધુમાં જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details