ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રાકૃતિક દેવોની પૂજા કરી વાઘબારસ ઉજવવાની આદિવાસીઓની પરંપરા યથાવત

ડાંગ: જિલ્લાના આદિવાસી લોકો પ્રકૃત્તિને દેવ માને છે અને તેની પૂજા અર્ચના પણ કરતાં હોય છે. અહીંના આદિવાસીઓ ઝાડ, પાન અને વાઘદેવને પૂજે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા અને સંસ્કૃતીને વળગી રહેનારા આદિવાસી પ્રજાએ ઉત્સાહ, ઉમંગ અને આસ્થા સાથે વાઘ બારસની ઉજવણી કરી હતી.

By

Published : Oct 25, 2019, 11:35 PM IST

etv bharat

આસો વદ બારસ એટલે વાઘબારસ. આ દિવસ આદિવાસી પ્રજા માટે ખૂબ જ મહત્વપૂર્ણનો દિવસ હોય છે. પોતાના ઘરના પાલતું પ્રાણીઓ કે જે જંગલમાં ઘાસચારો માટે રખડતાં હોય છે. તેમના રક્ષણ માટે તેઓ વાઘદેવતાંની પૂજા કરતાં હોય છે. વાઘબારસના દિવસે ગામના સૌ કુટુંબીજનો એકઠા થઈને વાઘદેવતાંની પૂજા કરે છે. સવારના સમયે આદિવાસી લોકો ગામ કે સીમનાં વાઘદેવને ફુલહારથી સજાવે છે, ત્યારબાદ નારિયેળ વધેરીને પૂજાની શરૂઆત કરે છે. નાગદેવતાને ખુશ કરવા માટે તેઓ મરઘીનું ઈંડુ મૂકે છે. વાઘદેવતાને 4 વર્ષ સુધી સંળગ મરઘાની બલી ચડાવવામાં આવે છે અને પાંચમા વર્ષે બકરાની બલી ચડાવાય છે.

પ્રાકૃતિક દેવોની પૂજા કરી વાઘબારશ ઉજવવાની આદિવાસીઓની પરંપરા

સાંજના સમયે ગામનાં ચોરા પાસે બધા ગ્રામજનો એકઠા થાય છે. બધા જ લોકો પોતાના ગાય બળદોને એકઠા કરીને તેમની પૂજા કરે છે. ગામના પાંચ માણસો, પથ્થરના પાંચ દેવતાં લઈને ગાયોની ફરતે પાંચ ફેરા ફરે છે. આ પથ્થર પર નાગ, વાઘ, ગાય, રીછ અને માણસના ચિહ્નો દોરેલા હોય છે, ત્યારબાદ દૂર રસ્તા પર એક જગ્યાએ ઈંડુ અને મરઘીનું નાનું બચ્ચું મુકવામાં આવે છે, ત્યારબાદ ઢોરને તે જગ્યા પરથી દોડાવવામાં આવે છે. ઈંડુ ફૂટી જાય કે બચી જાય તેના પરથી આખું વરસ કેવું જશે તેની ડાંગી આદિવાસી ગ્રામજનો ધારણા કરતાં હોય છે. ચોરા પાસે અગ્નિ સળગાવવામાં આવે છે અને આ અગ્નિમાંથી ગોવાળીયાઓને પાંચ વખત કૂદકો મારવાનો હોય છે, ત્યારબાદ મુખ્ય ગોવાળને અગ્નિ પાસે જઈને ભગત દ્વારા પૂછવામાં આવે છે. મારી જગ્યા છોડીને જઈશ કે નહીં એટલે કે જંગલમાં જ્યારે ઢોરો ઘાસ ચરતાં હોય ત્યારે વાઘ દેવતાં અને નાગદેવતાંને તેમના ઢોરોથી દુર રહેવાની વિનંતી કરવામાં આવે છે. બાદમાં આ પાંચ લોકોને સમૂહમાં એક જ થાળીમાં ભોજન આપવામાં આવે છે. આ પૂજા વિધિ બાદ ગ્રામજનો સમુહભોજન કરીને પોતાના ઘરે આવે છે. તે પછી સાંજે ગાય બળદોને ઘરે લાવીને ડાંગર ખવડાવવામાં આવે છે.

વર્ષોથી ચાલી આવતી આદિવાસી પરંપરા આજે પણ ડાંગી આદિવાસી લોકોએ જાળવી રાખી છે. વાઘ બારસના દિવસે ડાંગ જિલ્લાના દરેક ગામડાઓમાં આજ રીતના વાઘદેવતાંની પૂજા કરવામાં આવે છે. સામાન્ય માણસ માટે આ પૂજાવિધિઓ સમજની બહાર છે. પણ આદિવાસી પ્રજા માટે તેમની સંસ્કૃતિ અને વર્ષોથી ચાલી આવતી પરંપરા સાથે તેમની આસ્થા જોડાયેલી છે.

ABOUT THE AUTHOR

...view details