ડાંગઃ જિલ્લાનાં સુબિર તાલુકામાં સમાવિષ્ટ લાવચલીથી પીપલાઈદેવી ગ્રામ્ય વિસ્તારોમાં કોઝવે સહિત રસ્તાઓ બિસ્માર બન્યા છે. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
લાવચલી ગામથી પીપલાઈદેવી, ટાકલીપાડા સહિત મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારનાં ગારખડી ગામોના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. આ સાથે જ લાવચલીથી ટાકલીપાડા ગામ વચ્ચેના તમામ કોઝવેમાં ખાડા અને ધોવાણ થઈ જતાં આ કોઝવે ભયજનક સ્થિતિમાં છે.
અહીં થોડા દિવસ અગાઉ વન અને આદિજાતિ પ્રધાન ગણપત વસાવાએ રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું. જે અંગે સ્થાનિકોએ જણાવ્યું કે, ચૂંટણી નજીક આવતાં રસ્તાઓના ખાતમુહૂર્ત અંગે જનતાને લોલીપોપ આપવામાં આવ્યો છે.
હાલ ચોમાસા દરમિયાન ડાંગ જિલ્લાનાં અન્ય વિસ્તારોમાં રસ્તાઓનું રિપેર કામ ચાલી રહ્યું છે, ત્યારે આ સુબિર વિસ્તારના અંતરિયાળ ગામડાઓમાં રસ્તાઓનું રિપેર કામ કેમ કરવામાં આવતું નથી. જે અંગે સ્થાનિકો તંત્રને પ્રશ્ન પૂછી રહ્યા છે.