ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં પ્રભારીમંત્રીની ઉપસ્થિતમાં કોવિડ-19 સમીક્ષા બેઠક યોજાઇ - dang corona cases

કોરોના સંક્રમણના વધતા પ્રભાવ વચ્ચે રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના પ્રજાજનોને ઓક્સીજન સહિતની જરૂરી સાધન-સુવિધાઓ ઘરઆંગણે જ પ્રાપ્ત થાય તે માટે પ્રભારીમંત્રી રમણલાલ પાટકરે ડાંગ જિલ્લાને ઓક્સિજનની જરૂરિયાત માટે સ્વનિર્ભર બનાવવાના હેતુસર સત્વરે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થાય તે દિશામા કાર્યવાહી હાથ ધરી છે.

ડાંગ
ડાંગ

By

Published : Apr 30, 2021, 5:40 PM IST

  • આહવા ખાતે યોજાઈ કોવિડ-19ની સમીક્ષા બેઠક
  • પ્રભારીમંત્રી રમણ પાટકરની ઉપસ્થિતિમાં મળી ઉચ્ચસ્તરીય બેઠક
  • ડાંગ જિલ્લાના પોતાના ઓક્સિજન પ્લાન્ટ માટે મળી વહીવટી મંજુરી

ડાંગ: રાજ્ય વન અને આદિજાતિ કલ્યાણ પ્રધાન રમણલાલ પાટકરે કોરોનાના વિશ્વવ્યાપી સંકટ પાછળ રાજ્ય સરકાર રાતદિવસ સંવેદનશીલ નિર્ણયો લઈને પ્રજાજનોની જરૂરિયાતો પૂરી કરી રહી છે તેમ જણાવ્યું હતુ. ડાંગ જિલ્લામા એકમાત્ર સરકારી સિવિલ હોસ્પિટલ સિવાય અન્ય કોઈ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ નથી, અહીં ઓક્સીજન સપ્લાય, રેમડેસીવીર ઇન્જેક્શન સહીત વેન્ટીલેટર અને બેડ સહિતની આવશ્યક સાધન સેવા બાબતે જરૂર પડયે ડાંગના ધારાસભ્યના ફંડમાંથી પણ ખર્ચ કરી શકાશે તેમ જણાવ્યુ હતુ.

પ્રભારીમંત્રીની સમીક્ષા બેઠક

ગ્રામ્ય સ્તરે આરોગ્યકર્મીઓની ટીમ બનાવી લોકોને ઘરે જ સારવાર આપવાની વ્યવસ્થા કરવી- રમણ પાટકર

કોરોના સંકટમાંથી હેમખેમ બહાર આવવા માટે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ પરસ્પર સહયોગ અને સંકલન સાથે ચોક્કસ રણનીતિ ઘડવી પડશે તેમ જણાવી પાટકરે ડાંગ જિલ્લાના ગામમાં શરદી, ખાંસી, તાવ જેવા પ્રારંભિક લક્ષણો ધરાવતા દર્દીઓની યાદી તૈયાર કરવા માટે સ્થાનિક કક્ષાએ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીઓ સાથે જે તે વિસ્તારના તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોની ટીમે ઘરે ઘરે ફરીને યાદી તૈયાર કરવી જોઈએ તેમ જણાવ્યું હતુ. ત્યાર બાદ આવા દર્દીઓને સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ટીમ દ્વારા રુટ બનાવી ઘરે ઘર સુધી જઈને આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર આપવાની પદ્ધતિ અમલી બનાવવાનુ સૂચન કર્યું હતુ. જેનાથી ગ્રામ્યસ્તરે જ આવા દર્દીઓને સારવાર ઉપલબ્ધ થતા સિવિલ હોસ્પિટલો ઉપરનું ભારણ ઘટશે તેમ પણ પ્રધાને વધુમા ઉમેર્યું હતુ.

આ પણ વાંચો:લુણાવાડામાં કોવિડ-19 નિયંત્રણ, સર્વેલન્સ, ટેસ્ટિંગ અને સારવાર અંગે સમીક્ષા બેઠક યોજાઇ

ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પ્રોટોકોલનું ધ્યાન રાખવું જરૂરી

પરંપરાગત આયુર્વેદિક પદ્ધતિ અનુસારની સારવાર પણ પ્રજાજનોને મળી રહે અને તેમની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આયુષ મંત્રાલયે સુચવેલા અમૃતપેય ઉકાળા અને શમશમની વટીના મોટાપાયે વિતરણ ઉપર ભાર મુકતા પ્રભારીમંત્રી રમણલાલ પાટકરે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમા યોજાતા શુભ-અશુભ પ્રસંગોમાં કોરોના પ્રોટોકોલ જળવાઈ તે ખુબ જ જરૂરી છે તેમ જણાવી ગ્રામ્ય વિસ્તારોમા આ બાબતે વધુ જાગૃતિ કેળવાય તે જરૂરી છે તેમ જણાવ્યું હતુ.

લોકોમાં વેક્સિન અંગે જાગૃતિ આવે તે જરૂરી છે

કોરોના સંક્રમણને નાથવા માટે જિલ્લાના કન્ટેઈન્મેન્ટ ઝોન, માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં સમાવિષ્ટ પરિવારોને પણ જરૂરી રોગપ્રતિરોધક ક્ષમતાવર્ધક દવાઓ પૂરી પાડી સુરક્ષિત કરવાનો અનુરોધ કરતા પ્રધાને વેક્સિનેશનની કામગીરી બાબતે પદાધિકારીઓ વ્યાપક જનજાગૃતિ કેળવે તે ઇચ્છનીય છે તેમ જણાવ્યું હતુ.

જિલ્લા પ્રમુખ દ્વારા CT સ્કેન અને રેમડેસીવીર ઉપલબ્ધ કરવાની માગ

ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિતે ડાંગ જિલ્લામા કોરોનાના દર્દીઓ માટે જરૂરી CT સ્કેનની સુવિધા ઉપલબ્ધ કરાવવાની અપીલ સાથે જ્યાં સુધી આવી સુવિધા ડાંગ જિલ્લામા ઉપલબ્ધ નથી ત્યા સુધી CT સ્કેન માટે જિલ્લા બહાર જતા દર્દીઓ માટે વાહન વ્યવસ્થા કરવાની માંગણી કરી હતી. સાથે જ સિવિલ હોસ્પિટલ ખાતે કાયમી રેડીઓલોજીસ્ટની નિમણુક કરવા ઉપરાંત બેડની સુવિધા વધારવા અને ઓક્સિજન સાથે રેમડેસીવીર ઇન્જેક્શનનો પર્યાપ્ત જથ્થો ડાંગ જિલ્લાને નિયમિત રીતે ફાળવવાની પણ માંગણી કરી હતી.

જિલ્લામાં ટૂંક સમયમાં RT PCR લેબ કાર્યકરત થશે- કલેક્ટર

ડાંગ જિલ્લામા કોરોનાને પહોંચી વળવા માટે ઉપલબ્ધ સાધન-સુવિધાઓનો ખ્યાલ આપતા કલેકટર એન.કે.ડામોરે આગામી ટૂંક સમયમાં જ આહવાની સિવિલ હોસ્પિટલ ખાતે RT PCR લેબ કાર્યાન્વિત થઇ જશે, તેમ જણાવી ડાંગ જિલ્લાના વઘઈ, શામગહાન અને સુબીર CHC ખાતે દસ વેન્ટીલેટર સાથેના બેડની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સાથે જરૂરી ઓક્સિજન સપ્લાય દૈનિક ધોરણે નિયમિત રીતે જિલ્લાને મળે તે બાબત સુનિશ્ચિત કરવાની અપીલ કરી હતી.

આ પણ વાંચો:વડોદરામાં ઑક્સિજન અંગે લઈને પ્રધાન યોગેશ પટેલે યોજી બેઠક

કોરોનાં સંક્રમણ અટકાવવા આયુર્વેદિક જ્ઞાન ધરાવતા ગ્રામીણ વૈધોને ગામ દત્તક આપવામાં આવ્યાં

મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા ડાંગ જિલ્લાની તમામ ચેકપોસ્ટ સીલ કરીને પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરીને કોરોનાને પ્રવેશતો અટકાવવાના પ્રયાસો હાથ ધરાયા છે, તેમ જણાવતા કલેકટર ડામોરે જિલ્લામાં પરંપરાગત આયુર્વેદિક જ્ઞાન ધરાવતા ગ્રામીણ વૈધ મંડળીઓના સભ્યોને એક એક ગામ દત્તક આપીને કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવાના પ્રયાસો હાથ ધર્યા છે તેમ જણાવ્યું હતુ.

ABOUT THE AUTHOR

...view details